AAP News: હવે ગણતરીના મહિનાઓમાં જ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ સમસ્ત ગુજરાતમાં યોજાવવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખૂણે ખૂણે પોતાના સંગઠનને મજબૂત કરવા માટે જબરદસ્ત મહેનત કરી છે. હાલ આમ આદમી પાર્ટી(AAP)માં નિયુક્તિઓનો દોર ચાલી રહ્યો છે અને સંગઠનમાં ક્ષમતા અનુસાર ખૂબ જ મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. આજે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે. સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદે જીગીશા પટેલ અને વધુ એક સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદે જયેશ સંગાડાની નિયુક્તિ થઈ છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પદે રાજકરણ ઠાકોરની નિયુક્તિ થઈ છે.
હાલ આમ આદમી પાર્ટી(AAP) સમગ્ર ગુજરાતમાં “ગુજરાત જોડો” જનસભાઓ યોજી રહી છે અને આ જનસભાઓના માધ્યમથી આમ આદમી પાર્ટી એક એક વોર્ડમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હાલ જે પણ લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીમાં આવીને પોતાના વિસ્તારનું નેતૃત્વ કરવા માંગતા હોય છે તેવા તમામ લોકોને આમ આદમી પાર્ટી આવકારે છે અને નવનિયુક્ત પદાધિકારીઓ દરેક સ્તરે સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. આના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક પરિણામો લાવશે.





