International yoga day: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની “Yoga for One Earth One Health” અને “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” થીમ સાથે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષના યોગ દિવસે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧૨૧ યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં સ્થાન મેળવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આ અગાઉ પણ ગુજરાતે ૨૦૨૩માં ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે એક સાથે ૧.૫૦ લાખ લોકોની સામૂહિક યોગ સાધનાનો વિક્રમ અને ૧લી જાન્યુઆરી ૨૦૨૪ એ એક સાથે ૧૦૮ સ્થળોએ ૫૦ હજાર લોકો દ્વારા સામૂહિક સુર્યનમસ્કારનો વર્લ્ડ રેકર્ડ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતેના આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી અને ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુત તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે વિશ્વ યોગ દિવસમાં જોડાઈને દેશ વાસીઓને આપેલા પ્રેરક સંદેશનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણાં ઋષિમુનીઓએ સમગ્ર માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને પરિણામે આ પ્રાચીન યોગ સંસ્કૃતિને યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીથી વિશ્વ ભરમાં સ્વિકૃતી મળી છે.
૨૦૧૫થી દર વર્ષે તા.૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે એ શ્રેણીમાં આ વર્ષે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે.યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મક્તા આવે છે. એટલું જ નહિ, યોગ આપણને આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે.
રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના ૧૧ વર્ષ પણ આ વર્ષે પુરા થઈ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ યોગથી લઈને આયુષ્યમાન ભારત સુધી લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી છે. પ્રિવેન્ટીવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવન શૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યાં છે.
યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાથ્ય વિરાસત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજ બરોજની જીવન શૈલીનો ભાગ બની ગઈ છે તેમ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત -સ્વસ્થ ગુજરાતનો સામુહિક સંકલ્પ કરીને યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનાવવી છે અને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરવાની નેમ છે.
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાણાયામ પ્રાચીન કાળથી આપણા ઈતિહાસમાં રોજિંદા જીવનમાં વણાયેલી છે. યોગ અને પ્રાણાયામ થકી શરીરની તંદુરસ્તી સાથે શરીર સતત ઉર્જાવાન રહે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યની સાથે સાથે સ્વાસ્થ્ય માટે યોગ આદર્શને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું અદભૂત કાર્ય કર્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આપણો પ્રાચીન ઇતિહાસ પ્રાચીન સંસ્કૃતિની સાથે પ્રાચીન જે પણ કોઈ આપણી રીત રસમો છે એને સ્વીકારવા માટે આજે વિશ્વ તૈયાર થયું છે.આજે આપણે માતૃભૂમિના પ્રાચીન વારસાની ગૌરવની ભાવના સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છે તો આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં યોગને વણી સ્વસ્થ્ય જીવન માટે યોગના આદર્શને અપનાવીએ.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલ રાજપુતે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલ,ધારાસભ્ય સર્વે શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, અગ્રણીશ્રી ગીરીશભાઈ રાજગોર, અગ્ર સચિવ શ્રી એમ. થેન્નાસરન, જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિ, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ હસરત જૈસમીન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે જેગોડા તેમજ પદાધિકારી અધિકારી સહિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.