Gujarat: ગત વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત સરકારે મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી આપી છે. શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે ગરબા એ ગુજરાતની ઓળખ છે. ગુજરાતના લોકો સવારે 5.00 વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે. હવે સરકારના આ નિર્ણયને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.

આ મુદ્દે વિરોધ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “કેટલાક લોકોને મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ હોય ત્યારે પેટમાં દુખાવો થાય છે. તેમને નિશાન સાધતા કહ્યું હતું કે લોકો ગુજરાત નહીં તો શું પાકિસ્તાન જઈને ગરબા રમશે? ગાંધીનગરમાં થનગનાટ ગરબા કાર્યક્રમમાં વિરોધીઓને જવાબ આપતા હર્ષ સંઘવીએ આ વાત કરી હતી.

નવરાત્રી પર્વને લઈને કડક સુરક્ષા
ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુજરાત પોલીસે નવરાત્રિ દરમિયાન નાગરિકો ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સમયગાળા દરમિયાન તમામ શહેરો અને જિલ્લાઓમાં કુલ 737 ટીમો તૈનાત કરવામાં આવી છે. ટીમ પરંપરાગત પોશાકમાં ફરજ બજાવશે. આ ટીમો સતત તકેદારી રાખશે, જેથી કોઈપણ જગ્યાએ છેડતીની ઘટના ન બને અને યુવતીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે.

આ ઉપરાંત રાત્રે ગરબા રમ્યા બાદ જો કોઈ બહેન કે પુત્રીને ઘરે જવા માટે વાહન ન મળે તો તેઓ 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે. નવરાત્રિ પર્વ દરમિયાન તમામ શહેરો અને જિલ્લાઓમાં કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી કેમેરા દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

નવરાત્રી દરમિયાન તમામ શહેરો અને જિલ્લાઓમાં 5152 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારો તેમજ ગામડાઓમાં ગરબા દરમિયાન ખાસ તકેદારી રાખવા માટે જીઆરડીના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી આંતરિક વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.