અમદાવાદ, વડોદરા અને સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઇસ્ક્રીમ અને જ્યુસ પાર્લર પર જીએસટી વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 40 કરોડ રૂપિયા જેટલી રકમના છુપા વહેવારો મળ્યા હતા. ગ્રાહકો પાસે કાયદેસરનો વેરો વસૂલ્યા બાદ પણ અલગ અલગ રીતથી કરચોરી કરાતી હતી. ઓનલાઇન પેમેન્ટ અને ક્યુ આર કોડ સ્કેનરના પેમેન્ટમાં પણ ગેરરીતિઓ સામે આવી હતી.

સ્ટેટ જી.એસ.ટી.વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં કરચોરી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ, સુરત અને રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણીપીણીના, 47 ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 40 કરોડથી વધુ રકમના છૂપાયેલા વેચાણો મળી આવ્યા છે. તપાસ દરમ્યાન આ પેઢીઓમાં કરચોરીનાં આશયથી ભજિયાનાં રૂ. 6.75 કરોડ, પિઝાના રૂ. 4 કરોડ, આઈસ્ક્રીમ અને જ્યુશના રૂ. 30 કરોડના છૂપાયેલા વેચાણો મળી અત્યાર સુધીની તપાસમાં કુલ રૂ. 40 કરોડથી વધુના છૂપાયેલા વેચાણો મળી આવ્યા છે.

તપાસ દરમિયાન અલગ-અલગ પેઢીમાં જુદા-જુદા પ્રકારની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે. કેટલાક વેપારીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચામાલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડથી કરવામાં આવે છે. રોકડથી થતા વેચાણોમાં મહદઅંશે બિલો આપવાનું ટાળવામાં આવે છે. જ્યાં ગ્રાહકો QR Code સ્કેનરથી પેમેન્ટ કરે છે તેવા કિસ્સામાં વેચાણો છૂપાવવાના આશયથી પેઢીના કર્મચારી કે કોઈ સંબંધી કે કોઈ ત્રાહિત વ્યકિતના QR Code થકી તેમના બેન્ક અકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. જ્યાં POS Machine કે ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા “પેટપૂજા” જેવા સોફ્ટવેરમાંથી બિલો જાતે ડીલીટ કરી કે પછી સોફ્ટવેર કંપની મારફત ડીલીટ કરાવી દેવામાં આવે છે.

આમ કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસર વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવતી નથી. GSTની તપાસમાં અમદાવાદમાં પટેલ આઈસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યુસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ, જયસિંહ આઇસ્ક્રીમ જ્યારે સુરતમાં બિસ્મિલ્લા બ્રાન્ડ, મહાલક્ષ્મી જ્યુસ એન્ડ ફાસ્ટ ફૂડ કોર્નર, 51 રેમ્બો અને રાજકોટના અતુલ આઈસ્ક્રીમ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બિસ્મિલ્લાહ બ્રાન્ડના ફ્રેન્ચાઈઝી કરાર વિનાના 29 આઉટલેટ્સ ધ્યાને આવ્યા છે. તપાસમાં મોટા પ્રમાણમા બિનહિસાબી વ્યવહારોને લગતાં દસ્તાવેજો, પુરાવાઓ મળી આવ્યા છે. હાલમાં વધુ વસુલાતની કામગીરી ચાલુમાં છે અને કરચોરીનો આંકડો વધે તેવી સંભાવના છે.