ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસી પામેલા 38 આરોપીઓના કન્ફર્મેશન કેસની સુનાવણી હવે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠ દ્વારા રોજેરોજ હાથ ધરવામાં આવશે. ખૂબ જ સંવેદનશીલ અને મહત્ત્વના આ કેસની ઝડપી અને અસરકારક સુનાવણી હાથ ધરવાના આશયથી હાઈકોર્ટે આજે આ મેટર પાર્ટ હર્ડ(કેસની આખરી સુનાવણી ન થાય ત્યાં સુધી આ ખંડપીઠ સમક્ષ સુનાવણી નિર્ધારિત કરી દીધી હતી. જેથી કન્ફર્મેશન કેસની સુનાવણી રોજેરોજ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ચકચારી ઘટનામાં સ્પેશિયલ કોર્ટ દ્વારા વર્ષ 2022માં 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી અને આરોપીઓના વકીલ સિવાય અન્ય પર પ્રતિબંધ મૂકાયો છે. સાડા સાત લાખ પાનાના દસ્તાવેજ પર સુનાવણી કરવામાં આવશે.

આ તરફ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે કેસની લાઈવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા અને પીડિતોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, અમદાવાદમાં 26 જુલાઈ, 2008ના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં 49 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાંથી 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં પીડિતો અને તેમના પરિવારોને ન્યાય મળે તે માટે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે.

આ પણ વાંચો..