Gujarat: વાવાઝોડા કે સાયકલોન જેવી કુદરતી આપત્તિ સમય દરિયાકિનારાના જિલ્લાઓમાં વીજ વાયરોને થતું નુકસાન અટકાવવા અને ખેડૂતોને સતત વીજળી મળી રહે તે માટે તબક્કાવાર ઓવર હેડ લાઈનને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. તા. ૦૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં ‘સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ વીજ માળખું સુરક્ષિત અને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે ૧૬.૯૭ વીજ લાઈનના બે વીજ ફીડરને રૂ.૨.૭૪ કરોડથી વધુના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

ઊર્જા મંત્રી શ્રી દેસાઈ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં રૂ. ૪,૯૬૪.૨૯ લાખ તેમજ જામનગર જિલ્લામાં રૂ. ૯,૨૫૬.૦૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને નાગરિકોના હિતમાં બીપરજોય વાવાઝોડા બાદ સાગરખેડૂ વિકાસ યોજના હેઠળ દરિયા કિનારાના જિલ્લાઓમાં અંડર ગ્રાઉન્ડ વીજળી લાઈન, નવા સબ સ્ટેશન, જર્જરિત વાયર બદલવા તેમજ નવા વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં રૂ. ૨,૫૩૪ કરોડના ખર્ચે ૨૩૬ નવા સબ સ્ટેશન તેમજ રૂ. ૧૯૮ કરોડના ખર્ચે અંદાજે ૧.૩૦ લાખ નવા ખેત જોડાણ આપવામાં આવ્યા છે. આ ‘સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના’  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૦૭-૦૮માં અમલમાં મૂકવામાં આવી હતી. ડિસેમ્બર ૨૪ સુધી આ યોજના અંતર્ગત કુલ રૂ.૧૦૦૯ કરોડના ખર્ચે ૭૩,૭૬૨ કિ.મી.જર્જરિત વીજ લાઈનો અને ૧. ૭૪ લાખથી વધુ થાંભલા  બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.૨,૫૩૪.૬૯ કરોડના ખર્ચે ૨૩૬ નવા સબસ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જ્યારે રૂ.૧,૯૯૮ કરોડના ખર્ચે ૧.૩૨ લાખથી વધુ નવીન ખેતીવાડી વીજ જોડાણ આપ્યા છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું