Gujarat News: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક પગલાં લઈ રહી છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાકિસ્તાનને લગતા તમામ વિઝા રદ કરવાની સૂચના જારી કરી છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તેમને તેમના રાજ્યોમાંથી પાકિસ્તાની લોકોને પાછા મોકલવા કહ્યું. ગૃહ મંત્રાલયની સૂચના બાદ Gujarat સરકાર દ્વારા આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

438 પાકિસ્તાનીઓની યાદી

ગુજરાત સરકારે રાજ્યમાં રહેતા 438 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે. એટલું જ નહીં Gujarat સરકારે તેમને પાકિસ્તાન પરત મોકલવાની યોજના પણ બનાવી છે. મળતી માહિતી મુજબ લાંબા ગાળાના વિઝા પર ગુજરાતમાં 438 પાકિસ્તાની નાગરિકો છે. જેમાં અમદાવાદમાં 77, કચ્છમાં 50, સુરતમાં 44 અને પાટનગર ગાંધીનગરમાં 29 પાકિસ્તાની નાગરિકો છે. આ ઉપરાંત 7 પાકિસ્તાની નાગરિકો ટૂંકા ગાળાના વિઝા પર ગુજરાતમાં રહે છે. અમદાવાદમાં સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો ટૂંકા ગાળાના વિઝા પર છે. બાકીના 2 પૈકી એક પાકિસ્તાની ભરૂચમાં અને એક પાકિસ્તાની વડોદરામાં છે.

1 ને પાકિસ્તાન મોકલ્યો

Gujaratમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા ઝડપી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ તમામ પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે ગૃહ વિભાગે તમામને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ટૂંકા ગાળાના વિઝા પર ભરૂચમાં રહેતી 71 વર્ષીય શાહિદા બીબીને ગુજરાત સરકારે પાકિસ્તાન પરત મોકલી દીધી છે.