Gujarat: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. ૨.૩૦ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૫ દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ. ૪૦૦ કરોડથી વધુનો લાભ થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારનું સક્રિય અભિગમ દર્શાવે છે.
જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવતા ફ્યુઅલ સરચાર્જના દરને પ્રતિ યુનિટ ૫૦ પૈસા ઘટાડીને રૂ. ૩.૩૫ થી રૂ. ૨.૮૫ કરવામાં આવ્યો હતો. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર-૨૦૨૪થી ફ્યુઅલ સરચાર્જના દરને વધુ ૪૦ પૈસા ઘટાડીને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન-૨૦૨૫ દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂ. ૨.૪૫ પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ અને વાણિજ્યિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે ૧૫ પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.