Gujarat rain: રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા, તાલુકા, શહેર અને ગામોમાં સ્વચ્છતા અને સંભવિત રોગચાળા સ્થિતિને નિયંત્રણમાં રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા પ્રભારી સચિવ, જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરોને સુચના આપવામાં આવી છે.

જેના ભાગરૂપે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઊભી થયેલી પૂરની પરિસ્થિતિ અને પૂર ઓસર્યા બાદ ફ્લડ રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાત-દિન કાર્યરત છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં વડોદરાના જરૂરિયાતમંદ નાગરિકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે સુરત જિલ્લા આરોગ્ય વિભાગની બે મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે વડોદરા ખાતે આરોગ્ય સેવા આપી રહી છે.

જરૂરિયાતમંદોને જરૂરી તબીબી સેવાઓ અને આવશ્યક દવાઓ પૂરી પાડીને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ મુશ્કેલીનો સામનો નાગરિકોને ન કરવો પડે એ માટે નાના-મોટા વડીલો સૌ કોઈના આરોગ્યની સંપૂર્ણ કાળજી રાજ્ય સરકાર રાખી રહી છે. રાજ્ય અને જિલ્લાનું આરોગ્યતંત્ર પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના સ્વાસ્થયની દરકાર કરી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ બાદ વાહકજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાની સંભાવના હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરી લોકોને વાહકજન્ય અને પાણીજન્ય રોગોથી બચવા માટે તકેદારીનાં પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ૫૮૧ જેટલી ટીમો વાહકજન્ય અને પાણીજન્ય રોગોના નિયંત્રણ માટે કામ કરી રહી છે.

આ ઉપરાંત દાહોદ જિલ્લા અને ઝાલોદ શહેરમાં ભારે વરસાદ બાદ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફોગિંગ સહિતની કામગીરી માટે ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લાના ઝાલોદમાં મેઇન બજાર, સહિત વગેરે સ્થળોએ સફાઈ કરીને દવાના છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બાદ મચ્છરજન્ય રોગચાળો કે અન્ય બિમારીઓ ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સફાઈ અભિયાનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. નગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ભરાઈ ગયેલા કચરા-પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ટી.બી હોસ્પિટલ પાછળનો વિસ્તાર, દુધરેજ વોર્ડ નંબર ૦૧, વોર્ડ નંબર ૦૪, રેલ્વે અંડરબ્રિજ સહિતના સ્થળોએ યુદ્ધના ધોરણે સાફ – સફાઈ શરૂ કરવામાં આવી હતી. તેમજ ભૂગર્ભ ગટરોમાં અટવાયલો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી ભૂર્ગભ ગટરો સાફ કરવામાં આવી હતી. જે વિસ્તારમાં વધુ પડતો કચરો હતો ત્યાં જેસીબી, ટ્રેક્ટરની મદદથી ઘન કચરાના નિકાલની કામગીરી કરવામાં આવી હતી.