ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે રજા અને વતન પ્રવાસ માટેની મંજુર કન્સેશન (LTC) યોજના હેઠળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના કર્મચારીઓને દર ચોથા વર્ષે 6,000 કિમી સુધીના એલટીસી/વતન પ્રવાસનો લાભ મળે છે. કર્મચારીઓ આવા પ્રવાસ માટે ટ્રેન દ્વારા મુસાફરી પણ કરે છે. કર્મચારીઓએ રાજ્ય સરકાર સમક્ષ વંદે ભારત ટ્રેનમાં એલટીસી/વતન પ્રવાસ યોજના હેઠળ પ્રવાસની મંજૂરી આપવા રજૂઆત કરી હતી.

રાજ્ય સરકારે તેના જવાબમાં, 2020-23ના એલટીસી બ્લોકથી ‘રજા પ્રવાસ રાહત’ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરીનો સમાવેશ કર્યો છે. રાજ્ય સરકારના પાંચ લાખ કર્મચારીઓને આ નિર્ણયથી લાભ થશે.