Gujarat: ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે.
આ હેતુસર, મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની 149 નાગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થવું સંભવિત છે. નુકસાન પામેલા આવા રસ્તાઓનું વહેલી તકે રિસરફેસિંગ અને રિપેરીંગ કરીને નગરોમાં વધુ માર્ગ સલામતી તથા સારા રસ્તાની સુવિધા મળી રહે તેવો જનહિત અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.
એટલું જ નહિં, જે નગરોમાં રસ્તાઓની પ્રવર્તમાન સ્થિતિ ગટર, પીવાના પાણી માટેની પાઈપલાઈન સહિતના કામો માટે રસ્તાઓના ખોદકામના કારણે પણ જો સારી ન હોય તો તેવા નગરોમાં ચોમાસા પૂર્વે રોડ રિપેરિંગ માટે સંબંધિત નગરપાલિકાઓની માંગણી અનુસાર રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓને રોડ રિપેરીંગ-રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે.
તદઅનુસાર, ‘અ’ વર્ગની 37 નગરપાલિકાઓને પ્રત્યેકને 1 કરોડ પ્રમાણે કુલ 37 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને દરેકને 80 લાખ મુજબ 27 કરોડ, ‘ક’ વર્ગની 61 નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ 60 લાખ પ્રમાણે કુલ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને પ્રતિ નગરપાલિકા 40 લાખ પ્રમાણે કુલ 6.80 કરોડ મળીને સમગ્રતયા 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના નગરોમાં જો ચોમાસાં દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને ફાળવવામાં આવેલી આ રકમ ઉપરાંત નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરિંગ માટે નાણાં ફાળવવાનો પ્રજાલક્ષી અભિગમ પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.