Gujarat: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત તા. ૧ સપ્ટેમ્બરથી ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું હતું, જેથી ખેડૂતોની પ્રથમ દિવસે નોંધણી થઈ શકી ન હતી.

આ બાબતની જાણ થતા કૃષિ વિભાગ દ્વારા સતત અપડેશનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેના પરિણામે આજ તા. ૨ સપ્ટેમ્બરથી નોંધણી પુનઃ કાર્યરત થઈ છે. ખેડૂતો આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. રાજ્યમાં કોઈપણ ખેડૂત નોંધણીમાં બાકી ન રહી જાય તે માટે જરૂર જણાયે સમય મર્યાદા વધારવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ખેડૂતોને નોંધણી માટે પૂરતો સમય આપવામાં આવશે, જેથી ખેડૂત મિત્રોએ બિનજરૂરી ધસારો ન કરીને સહકાર આપવા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અનુરોધ કર્યો હતો.