Gujarat News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલ્મેન્ટ પ્રક્રિયા શરુ કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે આ યોજનના લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મુખ્યમત્રીશ્રીએ 94 નવી 108 એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે Gujaratમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારી, પેન્શનરો તથા તેમના પરિવાર માટે આજથી “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)” અમલમાં આવી છે. આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને પણ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે.

આ ઉપરાંત આજે Gujaratના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી 108 ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થવા જઈ રહ્યો છે. આજે લોકાર્પણ થયેલી નવી 94 એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરીને તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી છે. જેથી નાગરિકોને ક્રીટીકલ સમયમાં જરૂરી સારવાર પૂરી પાડી શકાય, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમારોહમાં મુખ્ય સચિવ પંકજ જોષી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર-શહેરી હર્ષદ પટેલ, આરોગ્ય કમિશનર-ગ્રામ્ય રતનકંવર ચારણ ગઢવી સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.