લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાત બીજેપીના તમામ સાંસદોને દિલ્હીનું તેડું આવ્યું છે. આ તમામ સાંસદોને આજ સાંજ સુધીમાં દિલ્હી પહોંચવા આદેશ આપવામાં આવ્યો છે. આજે ગુજરાતના સાંસદોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. આ સિવાય 9 જૂન સુધી દિલ્હી રોકાવા તમામ સાંસદોને આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર લોકસભા પરિણામો બાદ દિલ્હીમાં બીજેપી સાંસદોની બેઠક મળશે. તેમજ 7 જૂનના બીજેપી અને NDAના ચુંટાયેલા સાંસદોની આજે દિલ્હીમાં બેઠક મળશે. જેમા સવારે 11 વાગ્યે સેન્ટ્રલ હોલમાં બીજેપીના ચુંટાયેલા સાંસદોની બેઠક મળશે. તો બપોરે 2 વાગ્યે સેન્ટ્રલ હોલમાં NDAના સાંસદોની બેઠક મળશે. જોકે, ગુજરાત બીજેપીના 25 સાંસદો બેઠકમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામો આવી જતા હવે દિલ્હીમાં દેશની નવી સરકાર રચવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગુજરાતના ભાજપના નવા ચુંટાયેલા 25 સાંસદોને ભાજપ હાઇકમાન્ડ દ્વારા દિલ્હી પહોંચવા સુચના આપવામાં આવી છે. જયારે કોંગ્રેસના પણ ચુંટાયેલા એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરને પણ દિલ્હીનું તેડું આવ્યું છે અને સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જવા જણાવાયું છે