Gujarat: સોમવારે સાંજે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ગુજરાતના અમદાવાદના એક 25 વર્ષીય પ્રવાસીનું પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં મોત થયું હતું. માહિતી મુજબ, આ ઘટના ધર્મશાલાના ઇન્દ્રુનાગ વિસ્તારમાં બની હતી, જે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કાંગડાના સહાયક પોલીસ અધિક્ષક (ASP) હિતેશ લખનપાલના જણાવ્યા અનુસાર, ગ્લાઈડર ઊંચાઈ મેળવી શક્યું ન હતું ત્યારે ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો હતો. લોન્ચ થયાના થોડા સમય પછી, પ્રવાસીને લઈ જતું પેરાગ્લાઈડર જમીન પર પડી ગયું. પ્રવાસી, જેની ઓળખ સતીશ રાજેશભાઈ તરીકે થઈ છે, અને પાયલોટ, સૂરજ, બંનેને ઈજાઓ થઈ હતી.

સતીશને માથા, ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને પ્રાથમિક સારવાર માટે ધર્મશાલાની ઝોનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તાત્કાલિક સારવાર મળ્યા બાદ, તેને ટાંડા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાદમાં તેનું મોત નીપજ્યું હતું. સૂરજ કાંગડાની બાલાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું કહેવાય છે.

પોલીસે પુષ્ટિ આપી છે કે, સતીષના પરિવારને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા પછી, મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

છેલ્લા છ મહિનામાં ઇન્દ્રુનાગમાં આ બીજો પેરાગ્લાઇડિંગ અકસ્માત છે. જાન્યુઆરીમાં, અમદાવાદના 19 વર્ષીય યુવાન પ્રવાસી ભાવસાર ખુશીનું પણ આ જ પ્રદેશમાં પેરાગ્લાઇડિંગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સ્થાનિક અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે કે શું કોઈ સલામતી પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે કે નહીં.

આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, કાંગડાના ડેપ્યુટી કમિશનર હેમરાજ બૈરવાએ વધુ સલામતી મૂલ્યાંકન બાકી હોવાથી, જિલ્લામાં પેરાગ્લાઇડિંગ પ્રવૃત્તિઓ પર 15 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ લાદ્યો છે.

આ પણ વાંચો