Gujarat : પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદની હાજરી જોવા મળી હતી. દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજે એકાએક ઘેરાયેલા વાદળો કડાકા ભડાકા અને વેગીલા વાયરા સાથે વરસી પડ્યા હતા. વાવાઝોડા જેવા પવનને કારણે રવાપરમાં ચાલી રહેલા અમૃત મહોત્સવમાં મંડપ ઉડ્યા હતા તો કેટલાક ગામોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.
ભુજમાં દિવસભર અસહ્ય બફારા બાદ મોડી સાંજે એકાએક ધૂળની ડમરીઓ ઉડી હતી અને બાદમાં ભારે ઝાપટું વરસી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નખત્રાણા તાલુકાના વિથોણ અને આજુબાજુના વિસ્તારોમાં સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડા જેવા પવનથી અનેક જગ્યાએ ઝાડ અને તેની ડાળીઓ નીચે પડી જતાં વીજ વિક્ષેપ સર્જાયો હતો. ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ભારે પવન લાગતા હિંગળાજ માતાજી મંદિરના પૂજારી પ્રકાશ પંડ્યાના મકાન પાસે વીજ તાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. રવાપર પંથકમા એક દિવસ ના વિરામ બાદ સાંજના છ વાગ્યાના અરસામા તેજ પવન ફુંકાતા ગામમા ચાલી રહેલા અમૃત મહોત્સવમા મંડપ પડી ગયા હતા. અહીં આવેલા પાટીદાર પરિવારોને મુશ્કેલી પડી હતી. નાગવીરી રોડ પર આવેલા ઘરના આંગણામા વૃક્ષ અને દિવાલનો કઠોડો ધરાશાયી થયો હતો. નાગવીરી, નવાવાસ, વિગોડી, ઘડાણી, રતડીયા સહિતના ગામમા કમોસમી વરસાદની હાજરી રહી હતી.
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર, વિરાણી નાની, દોલતપર, માતાનામઢ સહિતના વિસ્તારમાં ભારે પવનની આંધી ફૂકાઈ હતી તો નરામાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, આગાહી વચ્ચે કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદે હાજરી પૂરાવી હતી.
કચ્છમાં વાદળછાયા વાતાવરણ સાથે ફરી ગરમી વધવાની વકી
પશ્ચિમી વિક્ષોભની અસર તળે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે કચ્છમાં કાલથી ફરી કાળઝાળ ગરમી પડવાની સંભાવના દર્શાવાઇ છે. હાલે વાદળછાયા માહોલમાં ભેજનું પ્રમાણ સવારે સરેરાશ 80 ટકા તો સાંજે 50 ટકા જેટલું રહેતાં બફારો અનુભવાઇ રહ્યો છે. ગુરૂવારે ભુજનું મહત્તમ તાપમાન 36, કંડલા એરપોર્ટ મથકે 37, નલિયામાં 35.2 જ્યારે કંડલા બંદરે 35.4 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં ન્યૂનતમ પારો 23.8થી 27.2 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. આગામી ચારેક દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે તેની સાથે શનિવારથી અધિકત્તમ ઉષ્ણતામાન 3થી 5 ડિગ્રી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.
આ પણ વાંચો..
- France: ફ્રેન્ચ વડા પ્રધાન વિશ્વાસ મત ગુમાવી બેરોની સરકાર પડી
- Israel: ભારત-ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર થયા, હવે FTA માટે વાટાઘાટોનો માર્ગ ખુલશે
- Nepal: કોના ‘પ્યાદા’ બળવાખોરો છે… નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનોની અંદરની વાર્તા
- Britain: જો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા નહીં લેવામાં આવે તો અમે વિઝા કાપ જેવા પગલાં લઈશું’, નવા ગૃહમંત્રી શબાના મહમૂદને ચેતવણી
- Lalu Yadav: લાલુ યાદવે ‘નોકરી માટે જમીન’ કેસમાં CBI FIR રદ કરવાની માંગ કરી, કહ્યું – મંજૂરી વિના તપાસ ગેરકાયદેસર છે