GOI: ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખભેથી ખભો મિલાવીને હાથ ધરવામાં આવી રહ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા આશયથી રાજ્યભરમાં ૩૯મું ચક્ષુદાન પખવાડીયું તા. 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે.

છેલ્લા દાયકામાં રાજ્યમાં દર વર્ષે સરેરાશ 7 લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ, હાલ રાજ્યમાં પ્રતિ 10 લાખ વસ્તીને 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજ્ય અગ્રેસર રહ્યું છે.

ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2022મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે.
“મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત 1476 પ્રાથમિક, 333 અર્બન, 347 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ 50 હજારથી જેટલી આશા બહેનોને ખાસ તાલીમ આપવામાં આવેલ છે.
આ ઉપરાંત, રાજ્યની દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાજયની 1 રીઝયોનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, 23 મેડીકલ કૉલેજ, 23 જિલ્લા હોસ્પિટલ, 36 તાલુકા કક્ષાની હોસ્પિટલ અને 128 સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી એક સંસ્થા ખાતે લીંક અપ કરવામા આવેલ છે.


આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. 60 થી 80 હજાર જેટલો થતો હોય છે.

મોતિયાના ઓપરેશનમાં રાજ્ય અગ્રેસર

વર્ષ ૨૦૨૨થી કેન્દ્ર સરકારે 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને મોતિયાના કારણે અંધ-ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન અંગે ‘રાષ્ટ્રિય નેત્રજયોતિ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર તરફથી ‘રાષ્ટ્રીય નેત્રજયોતિ અભિયાન’ અંતર્ગત વર્ષ 2022-23માં ફળવાયેલ 1,26,300ના લક્ષ્યાંકની સામે કુલ 6,36,428 એટલે કે 500 ટકાથી વધુ અને વર્ષ 2023-24માં 1,51,700ના લક્ષ્યાંકની સામે કુલ 6,10,400 એટલે કે 400 ટકાથી વધુ મોતિયાના ઓપરેશન કરીને ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત વર્ષ 2024-25માં ફળવાયેલ 1,76,900ના લક્ષ્યાંક સામે જુલાઈ-2024 સુધીની સ્થિતિએ કુલ 1,52,720 એટલે કે 86 ટકા મોતિયાના ઓપરેશનની સફળતા મળી છે.

ઓપરેશન પછી ફોલોઅપ
મોતિયા અંધત્વ બેકલોક મુકત ગુજરાત હેઠળ દરેક દર્દીની પ્રાથમિક નોંધણી, સંદર્ભ સેવા, ઓપરેશન સેવા તથા ફોલોઅપ સેવા સુધીની ડેટા એન્ટ્રી માટે વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું વેબએડ્રેસ https://cataractblindfree.gujarat.gov.in છે. સાથે જ, ઓપરેશન પછી દરેક દર્દીઓના માર્ગદર્શીકા મુજ્બ 40 દિવસ સુધીના ૫ અંતરાળમા ફોલોઓપ લેવામાં આવે છે.

સરકાર હસ્તક હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તમામ ઓપ્ટોમેટ્રીસ્ટને ચક્ષુદાન લેવા માટેની 15 દિવસની સર્ટીફાઇડ તાલીમ પણ અપાઈ છે.