CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે.

2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે “કો-ઓપરેટિવ બિલ્ડ ધ બેટર વર્લ્ડ”ની થીમ સાથે ઉજવાઈ રહ્યું છે. આ ઉજવણી સંદર્ભમાં ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ, ખેતી બેંક અને ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ ગાંધીનગરમાં યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્કશોપના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા કહ્યું કે, સ્વતંત્રતા પહેલાં ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આગેવાનીમાં અસહકારની લડતમાં અગ્રેસર ગુજરાત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર સે સમૃદ્ધિથી વોકલ ફોર લોકલના વિઝનને પાર પાડવામાં અગ્રેસર છે.

તેમણે જણાવ્યું કે, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ખાસ કરીને પ્રાથમિક સહકારી મંડળીઓ આ માટેનું અને સ્વદેશીથી આત્મનિર્ભરતાનું યોગ્ય પ્લેટફોર્મ છે એમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતને ૧૪૦ કરોડ ભારતવાસીઓનો સંકલ્પ અને જન આંદોલન બનાવ્યું છે. આત્મનિર્ભરતા માટે આપણે સહકારી મંડળીઓ, સ્વ સહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ ખરીદીને આત્મનિર્ભર ભારત સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલને વેગ આપી શકીએ.

મુખ્યમંત્રીશ્રીએ પેક્સમાં સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે મળીને તેને સાકાર કરી શકે તેમ છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશમાં આઝાદીના દશકો પછી અલાયદૂ સહકાર મંત્રાલય રચવામાં આવ્યું છે.

એટલું જ નહીં, છેવાડાના માનવીના વિકાસ માટેની વડાપ્રધાનશ્રીની વિચારધારાને અનુરૂપ નવી સહકાર નીતિ ૨૦૨૫ પણ દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જાહેર કરી છે.

આ નીતિની વિશેષતાઓ પ્રસ્તુત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવા સાથો સાથ ૨૦૩૪ સુધીમાં જી.ડી.પી.માં સહકાર ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય સહકાર નીતિમાં રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા ૩૦ ટકા જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવાનો વિચાર પણ આ નીતિમાં સમાવિષ્ટ છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષ સરદાર પટેલની જન્મ જયંતીનું ૧૫૦મું વર્ષ છે અને સરદાર સાહેબે ત્રિભુવનદાસ પટેલના સહયોગથી સહકારિતાનું ફલક વિકસાવ્યું છે તેનું સ્મરણ કરતાં સહકારી ક્ષેત્રે તાલીમબદ્ધ મેનપાવરની ઉપલબ્ધી માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપનાના વડાપ્રધાનશ્રીના દીર્ઘ દ્રષ્ટિ પૂર્ણ અભિગમને બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭નો જે સંકલ્પ આપ્યો છે તે પહેલાં ગુજરાત માટે તો રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષનો અવસર ૨૦૩૫માં આવવાનો છે. આ બેય અવસરો ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું દિશાદર્શન કરીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણના અવસરો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય પાર પાડવા સમગ્ર સહકારી ક્ષેત્રના અગ્રણીઓને આ તકે પ્રેરણા આપી હતી.

કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ, વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા તેમજ વન -પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી પહેલાંથી સહકારીતા ભારતનો આત્મા રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી ભારતમાં નવીન સહકારિતા મંત્રાલયના નિર્માણ બાદ પ્રથમ સહકારિતા મંત્રી તરીકે શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં દેશમાં સહકારિતા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ થયા છે. હાલમાં પણ મોટાભાગના સહકારી આગેવાનો પોતાના માટે નહીં પણ અન્યના કલ્યાણ માટે તેમજ સહકારી માળખું વધુ મજબૂત બનાવવા સતત સેવારત છે. ગુજરાતમાં અને ભારતમાં અનેકવિધ સહકારી આગેવાનો છે‌ કે જેમને પોતાનું જીવન સહકાર ક્ષેત્રના વિકાસ માટે સમર્પિત કર્યું છે તેમની સરાહના થવી જોઇએ તેમ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું હતું. 

સહકારી આગેવાન તરીકે પોતાના અનુભવો રજૂ કરતાં શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં સહકારી માળખાને ટકાવી રાખવા અને લાખો સભાસદોના હિતમાં અનેકવિધ કલ્યાણકારી નિર્ણયો કર્યા છે. આ સહકારી માળખાને વધુ વેગ આપવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાતે અનેક નવીન આયામો શરૂ કરીને સમગ્ર દેશને સહકારી મોડલમાં નવો રાહ ચિંધ્યો છે. વર્ષો પહેલા ખેડૂતો જ્યારે તેનું અનાજ પાકે ત્યારે તેમાંથી જરૂર પૂરતો ભાગ ગામના અન્ય વર્ગોને આપતા હતા તેની સામે ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે આ વર્ગો વિવિધ સ્વરૂપે મદદ કરતા એટલે કે તે વખતે પણ સહકારીતાની ભાવના અસ્તિત્વમાં હતી તેમ તેમણે ઉમેર્યુ હતું. 

તેમણે કહ્યું હતું કે, આઝાદી પહેલા ગાંધીજીએ ગ્રામીણ સ્વરાજની સંકલ્પના આપી હતી. ભારત સહિત વિશ્વના દેશોમાં અલગ અલગ રીતે સહકારી માળખું રચાયું હતું, તે વખતે ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલની આગેવાનીમાં સહકારી માળખાનો પ્રારંભ થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ હંમેશા આગ્રહ રાખતા કે સહકારી ક્ષેત્રે સમયાંતરે ચૂંટણી થાય તો જ જે તે સંસ્થાને વિકાસની નવી તકો મળે. 

આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકાર પ્રવૃત્તિને ફરી વેગવાન બનાવવા અલાયદા સહકારિતા મંત્રાલયની શરૂઆત કરી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગતિશીલ નેતૃત્વ તથા કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રમાં અનેક અસરકારક ઇનિશિયેટીવ લીધા છે.  

મંત્રી શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, આજે દેશમાં ૩૦ કરોડથી વધુ સભાસદો સાથે ૮ લાખથી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જે પૈકી ગુજરાતમાં ૧.૮ કરોડ સભાસદો સાથે ૮૯ હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે. આ ઉપરાંત દેશમાં નોંધાયેલા ૧.૮ લાખ પેક્સ પૈકી ગુજરાતમાં ૧૦ હજારથી વધુ પેક્સ કાર્યરત છે. સહકારી કામમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી પેક્સ માટે ‘મોડેલ બાય લોઝ’ પણ તૈયાર કરવામાં આવ્યા છે. 

સહકાર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, દેશના દરેક ગામડાનો ખેડૂત સમૃદ્ધ થાય. તે દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દેશમાં સૌ પ્રથમ ‘કો ઓપરેશન એમોન્ગ કો ઓપરેટીવ મૂવમેન્ટ’ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રામીણોના ઉત્થાનમાં દૂધ ઉદ્યોગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. 

મંત્રી શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, આજે સહકારી ક્ષેત્ર દ્વારા અવિરત પ્રયાસોના પરિણામે બેંકોમાં ડિપોઝિટરોનો વિશ્વાસ ખૂબ વધ્યો છે. 

 ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે સહકારી માળખાને ડિજિટલ બનાવવા આગવી પહેલ કરી છે. ગુજરાતના ૧૮ હજારમાંથી મોટાભાગના ગામોમાં માઈક્રો એટીએમની સુવિધા દ્વારા પશુપાલકોને તેમના દૂધના નાણા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. માઈક્રો એટીએમ એક પ્રકારની મિનિ બેંકની ભૂમિકા ભજવે છે. ગુજરાતના સહકારી મોડલનો અભ્યાસ કરવા અનેક રાજ્યના સહકારી મંત્રીશ્રીઓ-આગેવાનો રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. 

આ પ્રસંગે સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમારે સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સહકારી ક્ષેત્રે સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આજે રાજ્યમાં હજારો સહકારી સંસ્થાઓ ખેતી, ડેરી, બેન્કિંગ, માર્કેટિંગ, ક્રેડિટ, હાઉસિંગ અને કુટીર ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. 

આ પ્રસંગે ખાંડ તંત્રના નિયામક શ્રી સુનિલભાઈ ચૌધરી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પહેલો અંગે વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, GCMMFના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સહિત વિવિધ સહકારી મંડળીઓ-બેન્કોના ચેરમેનશ્રીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.