Gopal Italia News: ખેડૂતો સાથે થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અને અધિકાર અપાવવા સહિત અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું . આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય Gopal Italia, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, અમરેલી લોકસભા પ્રમુખ કાંતિ સતાસીયા, અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરીયા, ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખ દોમડીયા, જિલ્લા મહામંત્રી શૈલેષ ભાદાણી, જિલ્લા મહામંત્રી હિરેન વિરડીયા, વિધાનસભા ઇન્ચાર્જ રાજેન્દ્ર બારૈયા, વિધાનસભા ઇન્ચાર્જ ઓધવજી પટેલ, વિધાનસભા ઇન્ચાર્જ ભુપત વિરડીયા, વિધાનસભા ઇન્ચાર્જ રાહુલ હરખાણી, વિધાનસભા ઇન્ચાર્જ મોહમ્મદ ઈશાકભાઈ ગાહા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને યુવાનો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું.

કિસાન પંચાયતમાં વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આપણા દેશ ખેતીપ્રધાન દેશ છે પરંતુ સરકાર ખેતીપ્રધાન નથી. સરકાર આજે બુટલેગરપ્રધાન થઈ ગઈ છે, એના કારણે ખેડૂતોને બારેમાસ આંદોલન કરવા પડે છે પરંતુ બુટલેગરે કોઈપણ પ્રકારના આંદોલન કરવા પડતા નથી, કારણ કે ગુજરાતમાં બુટલેગરોને કોઈ તકલીફ પડતી નથી. જ્યારે ખેડૂતોને નકલી બિયારણ વિરુદ્ધ આંદોલન કરવું પડે, જમીન સંપાદન મુદ્દે આંદોલન કરવું પડે છે, કડદા પ્રથા વિરુધ્ધ આંદોલન કરવું પડે છે, તો જો દેશ ખેતીપ્રધાન છે અને સરકાર ખેતીપ્રધાન હોત તો ખેડૂતોને આટલી સમસ્યા ન ઉઠાવવી પડતી હોત. ખેડૂતોને વારંવાર અલગ અલગ લાઇનમાં ઊભા રાખી દેવામાં આવે છે. આજે ગુજરાતમાં હજારો લાખો ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે. જેના કારણે હવે ઈસુદાન ભાઈ, ગોપાલભાઈ, હેમંતભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ, બ્રિજરાજભાઈ, ચૈતરભાઈ સહિત અનેક ખેડૂતોના દીકરાઓએ બીડુ ઝડપી છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનાવવામાં આવશે.

ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત માટે લડવા માટે જ્યારે આમ આદમી પાર્ટી આગળ આવી તો ભાજપના ગુંડાઓએ આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી. બોટાદમાં કડદો થયો અને રાજુભાઈ કરપડાએ એ મુદ્દે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું અને આજે તેઓ જેલમાં છે. તો મારો સવાલ છે કે એમણે શું ખોટું કર્યું છે? હકીકતમાં એ ગુંડાને જન્મ મોકલવાની જરૂર હતી જેણે એક દલિત સમાજના વ્યક્તિને ધમકી આપી કે “કેજરીવાલની સભામાં જઈશ તો ટાંટિયા તોડી નાખીશ”, અમરેલીના બજારમાં જે વ્યક્તિએ એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ વ્યક્તિ જેલમાં હોવો જોઈતો હતો પરંતુ એની જગ્યાએ આજે રાજુ કરપડા જેલમાં છે. તમામ કાળા કામ કરનારા અને તમામ હલકા કામ કરનારા લોકોને ભાજપનું રક્ષા કવચ મળેલું છે.ભાજપનું લોકેટ પહેરીને કોઈ વ્યક્તિ બળાત્કાર કરે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે તો એને કોઈ સજા થતી નથી. સજાઓ બધી ફક્ત ગરીબો માટે રાખેલી. સરકારી કચેરીમાં જઈને કોઈ વ્યક્તિ એક શબ્દ બોલે તો એને પોલીસ પકડી જાય છે. વર્ષો સુધી આપણે ભાજપ સરકારને મત આપ્યા છે પરંતુ આજે ભાજપ સરકાર આપણી વાત સાંભળતી નથી. નાની નાની વાતમાં લોકોને જેલ મોકલવાની ધમકી આપવામાં આવે છે પરંતુ હવે ગુજરાતનું સદભાગ્ય છે કે જેલથી ન ડરે એવા નેતાઓ ગુજરાતમાં પેદા થઈ ગયા છે, અત્યાર સુધી નેતાઓ એવા હતા જે જેલથી ડરી જતા હતા અને ભાજપમાં જતા રહેતા હતા પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલથી ડરતા નથી.