આમ આદમી પાર્ટી(AAP)ના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર Gopal Italiaએ ભવ્ય બહુમતીથી જીત હાંસલ કરી છે. આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ મીડિયાથી વાત કરતા કહ્યું કે વિસાવદરની આ ચૂંટણી પોતે જનતાએ લડી હતી. ગામ-ગામના ખેડૂત, ખેત મજૂરો અને પછાત વર્ગના લોકો મળીને આ ચૂંટણી લડી રહ્યા હતા. હું માત્ર એક માધ્યમ હતો. જ્યારે જનતા પોતે ચૂંટણી લડે ત્યારે ઐતિહાસિક પરિણામ આવવાનું નિશ્ચિત છે. ભાજપે પોતાનું આખું મંત્રીમંડળ અને બધા નેતાઓ મેદાનમાં ઉતારી તેમની આખી તાકાત લગાવી દીધી હતી અને તેમણે સામ-દામ-દંડ-ભેદ બધા જ હથકંડા અજમાવ્યા છતાં પણ તેઓ ચૂંટણી જીતી શક્યા નહીં કારણ કે આ ચૂંટણીમાં નહીં પણ વિસાવદરની જનતાએ ચૂંટણી લડી હતી. એટલે આ મારી જીત નથી, આ વિસાવદરની જનતાની જીત છે. આ જીત જનતાના સપનાની જીત છે. ગુજરાતની આખી જનતા બદલાવ માંગે છે અને આ વખતે પેટા ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે, જ્યારે સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં શાસક પક્ષને જીત મળતી હોય છે પણ અહીં એવું થયું નહીં. એટલે હું Gopal Italia વિસાવદરની જનતાનો આભાર માનું છું અને જેમ જેમ લોકોએ મારી સાથે ઊભા રહ્યા તેમનું પણ આભાર વ્યક્ત કરું છું.
આ પેટા ચૂંટણીમાં 2022ના વિધાનસભા ચૂંટણી કરતાં પણ વધુ મતદાન થયું હતું અને આ વધારાના મતદાનનો અર્થ એ જ છે કે જનતા બદલાવ માંગે છે. વિસાવદર એ એવી ધરતી છે જ્યાંથી સરકારો બદલાય છે, મુખ્યમંત્રીઓ બને છે અને જ્યાંથી ઇતિહાસ લખાય છે. તો વિસાવદરની જનતાએ હવે શરૂઆત કરી છે કે ગુજરાતમાં બદલાવ આવી રહ્યો છે. જે-જે મુદ્દાઓ પર અમે જનતાને વચન આપ્યું હતું એ બધા મુદ્દાઓ પર અમે હવે કામ કરીશું. નવી જમીનનું માપણ કરવાનો મુદ્દો છે, ઇકોઝોનનો મુદ્દો છે, સહકારી મંડળીનો મુદ્દો છે, સૌની યોજનાનું પાણીનો મુદ્દો છે, ખાતર અને MSPના મુદ્દા છે – એ બધા મુદ્દાઓ પર અમે કાલથી જ કામ શરૂ કરીશું.
આજે કોંગ્રેસ પાર્ટીને તેના કરેલા કામની સજા મળી છે. અમે કોંગ્રેસ પાર્ટીને વારંવાર કહેલું કે અહીં તમારો ઉમેદવાર ઉભો કરવો યોગ્ય નથી કારણ કે અમારું પહેલા ગઠબંધન હતું અને અમે તે નક્કી કર્યું હતુ., પણ કોંગ્રેસ પાર્ટીએ આ વાત માનવા તૈયાર ન હતી અને તેઓ ઘમંડમાં હતા અને આજે વિસાવદરની જનતાએ તેમનો ઘમંડ તોડી નાંખ્યો છે. જનતાએ કોંગ્રેસને અરીસો બતાવ્યો છે. આ ચૂંટણીમાં જે જે લોકોએ જનતાની બદદુઆ લીધી છે, હાય લીધી છે તેમના માટે ખરાબ થવાનું એ નિશ્ચિત હતું. મેં પહેલા જ કહ્યું હતું કે આ ચૂંટણી પોતે જનતાએ લડી છે અને જે-જે લોકો જનતાના વિરોધમાં ઊભા રહેશે તેમને ભગવાને સજા આપી છે અને જે લોકો જનતાની સાથે ઊભા રહ્યાં છે તેમને ભગવાને આશીર્વાદ આપ્યો છે.
જનતા પોતે ચૂંટણી લડી એના કારણે આ જીત મળી છે, જો હું ચૂંટણી લડી રહ્યો હોત તો ભાજપના એટલા મોટા તંત્ર સામે હું ચૂંટણી જીતી ન શક્યો હોત. તો આ ચૂંટણીમાં દરેક બૂથ પર પોતે જનતા ઊભી રહી હતી, ખેડૂત ઊભા રહ્યા, મજૂર ઊભા રહ્યા, વેપારીઓ ઊભા રહ્યા, કર્મચારીઓ ઊભા રહ્યા અને તેમણે પોતે મતદાન કર્યું, મતદાન કરાવ્યું અને પોતે પોતે આ ચૂંટણી લડી અને આજે એ જ લોકો પોતે જીત્યા છે. જો કામકાજની વાત કરીએ તો મારા માટે બધા જ કામ મહત્વના છે પણ સૌથી પહેલા હું અહીં કાર્યાલય ખોલીશ અને જનતા સાથે જલ્દીથી જનસંપર્ક શરૂ કરીશ અને જેમ જેમ લોકો આવે તેમ તેમ તેમની સમસ્યાઓ પર કામ કરીશું અને સાથે સાથે ફરીથી ગામે ગામ જઈશ અને લોકો જે જે કામ કહે છે એ બધા કામ પ્રથમ કરીશ.