આમ આદમી પાર્ટીના Gujarat પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક અત્યંત ગંભીર ઘટના મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વડોદરાના ભાયલીમાં એક સગીરા સાથે ગેંગરેપ થયો છે. Gujaratમાં ભાજપની સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની અણઆવડતના કારણે આજે સમગ્ર ગુજરાતની દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસુસ કરે છે. ગુજરાતના દાહોદમાં એક છ વરસની બાળા સાથે ભાજપના સમર્થિત વ્યક્તિ બળાત્કારની કોશિશ કરે અને તેની હત્યા કરી નાખે છે. તેના બીજા દિવસે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી પર બળાત્કાર થયો. ત્યારબાદ મહેસાણામાં પણ બળાત્કાર થયો મોડાસામાં પણ બળાત્કાર થયો અને ભુજમાં પણ બળાત્કારની ઘટના ઘટી હતી. ત્યારબાદ આજે વડોદરાના ભાયલીમાં પણ ગેંગરેપની ઘટના ઘટી.

Gujaratને કોણે આવું બનાવી દીધો? ગુજરાત કઈ હાલતમાં પહોંચી ગયું છે? ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરતા હતા કે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકાશે. પરંતુ ગૃહમંત્રીએ 5:00 વાગ્યા સુધી ગરબા રમવાની કોઈ વ્યવસ્થા પણ નથી કરી. ગૃહમંત્રીએ આઈજી અને સીપી સહિત અધિકારીઓ સાથે પ્લાનિંગ કરવાની જરૂરત હતી કે પાંચ વાગ્યા સુધી ગરબા ચાલશે તો કઈ જગ્યાએ કેટલા બંદોબસ્તની જરૂરત હશે, જીઆઈએસએફ અને સીઆઈએસએફને લગાવવાની જરૂરત હોય કે પર્સનલ બાઉન્સરો મુકવાની જરૂરત હોય તો તે પણ વ્યવસ્થા કરવાની જરૂર હતી. આ વ્યવસ્થા કરવાની જગ્યાએ તેમણે ફક્ત નિવેદનો કર્યા અને તેના પરિણામે રાત્રે 12:00 વાગે જ્યારે એક દીકરી ગરબામાંથી પરત ફરી રહી હતી ત્યારે તેની સાથે સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી. હવે આ ઘટના માટે કોણ જવાબદાર?

પાંચ વાગ્યા સુધી ગરબાની વાત કરી હતી પરંતુ ઘણી જગ્યાએ 12 વાગ્યે ગરબા બંધ કરાવી દેવામાં આવે છે. પોલીસ કમિશનર અને કલેક્ટર કહે છે કે ગૃહમંત્રીને ખ્યાલ નથી કે પાંચ વાગ્યા સુધી ગરબા ન રમાડી શકાય. તો હવે તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો. હજુ નવરાત્રીના બીજા સાત દિવસો બાકી છે, તો શું હજુ પણ વ્યવસ્થામાં આવી જ રીતે પોલમપોલ રહેશે? તમારે નિવેદનો કરતા પહેલા પૂરું પ્લાનિંગ કરવાની જરૂર હતી. હું કહેવા માંગીશ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ખરેખર તેમના પદ માટે લાયક નથી, માટે તેમણે પોતાનું રાજીનામું આપી દેવું જોઈએ.