Amit Chavda News: રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાનો આક્રોશ, પીડાઓ, દર્દ, સમસ્યાઓને ઉજાગર કરવા માટે, જનતાના અવાજને બુલંદ અવાજે ઉઠાવવા માટે ગાંધીનગર ખાતે ૧૬ ફેબ્રુઆરીએ ‘જન આક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે બપોરે 1.00 કલાકે 16 ફેબ્રુઆરીના રોજ જન આક્રોશ સભામાં યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા, આદિવાસીઓ, દલિતો, બક્ષીપંચ સમાજ, કામદારોના પ્રશ્નો સહિત સમગ્ર ગુજરાતના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં આવશે.

વધુમાં Amit Chavda દ્વારા ડબલ એન્જિનની સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દિલ્લીનું એન્જિન મોંઘવારી વધારે છે ત્યારે ગુજરાતના એન્જિન ભ્રષ્ટાચારમાં બેફામ વધારો કરે છે. કમૌસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં 1100 કિલોમીટરની સોમનાથ થી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ઢીમા થી બહુચરાજી ની 1300 કિલોમીટર જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં ફાગવેલ થી કંબોઈ ગામ સુધીની 1400 કિલોમીટરની જન આક્રોશ યાત્રા યોજવામાં આવી હતી. હાલમાં દક્ષિણ ગુજરાતમાં કપરાડા થી ડેડિયાપાડા સુધીની 1100 કિલોમીટરની જનઆક્રોશ યાત્રા જેનું સમાપન 13 ફેબ્રુઆરીના રોજ ડેડિયાપાડા થશે. સમગ્ર ગુજરાતમાં અનેક પ્રજાના પ્રશ્નો, પીડાઓ યાત્રા દરમિયાન સામે આવી હતી. ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે તેમના દેવા સંપૂર્ણ માફ થાય તેવી માંગ કોંગ્રેસે ઉપાડી છે. ખેડૂતો ખાતરની તંગી થી પરેશાન છે. ખેડૂતો વીજ કંપનીઓ ની દાદાગીરી થી પરેશાન છે જબરદસ્તી ખેડૂતો ના ખેતરોમાં વીજળીના થાંભલા ઊભા કરી દીધા છે. જમીન સંપાદનમાં ખેડૂતો અન્યાય થી પરેશાન છે.

ગુજરાત ના યુવાનોનું ફિક્સ પે, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા થી શોષણ કરવામાં આવી રહ્યું છે તે પ્રથા નાબૂદીની માંગ કોંગ્રેસ ઉઠાવી રહી છે. દરેક કામદારને સમાન કામ સમાન વેતન મળે તેની લડાઈ કોંગ્રેસ લડતી રહેશે. દારૂની બદી થી ગુજરાતની મહિલાઓ ખૂબ જ પરેશાન તેમનો આક્રોશ દરમિયાન સાંભળવા મળ્યો છે. ડ્રગ્સથી યુવાધન બરબાદ ના થાય તે ચિંતા કરવાની ખુબજ જરૂર છે. શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ડ્રગ્સ પેડલરો બેફામ થયા હોય તેવી ફરિયાદો ઉઠી છે. ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ, મેન્યુફેક્ચરિંગ હબ, હોલસેલ હબ, રિટેલ હબ અને હવે ટ્રાન્ઝિટ હબ બની ગયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં બુલડોઝર રાજ હેઠળ દશકોથી વસતા હજારો ગરીબ લોકોને છત વગરના કરી દીધા છે. નાના વેપારીઓ, લારી ગલ્લા પાથરણાવાળા, મનરેગાના મજૂરોની અનેક સમસ્યા સામે આવી છે. આદિવાસીઓ ને જંગલ જમીનના હક્ક થી વંચિત રાખવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટોના નામે ગરીબ આદિવાસીઓની છત છીનવાઈ રહી છે. આંગણવાડી બહેનો, આશા વર્કરો સહિત અનેક નાના મોટા સરકારી યોજનામાં કામ કરનારા પ્રશ્નોની લડાઈ કોંગ્રેસ કરશે. જનતાના પ્રશ્નો-સમસ્યાઓ, પીડાઓના આક્રોશને બુલંદ અવાજે ઉઠાવશું.