મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય શ્રી સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ગાંધીનગરમાં લીધી હતી.
થાઇલેન્ડનું એક થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં, ભારતની ૭ દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં ૫ દિવસનો પ્રવાસ કરવાના છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મૂલાકાત બેઠકમાં પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના ૭ નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે. થાઇલેન્ડના વડા પ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. જેમણે રામાયણ અને ભગવાન બુદ્ધના જીવન પરની ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તે ગગન મલિક પણ આ પ્રતિનિધિમંડળમાં જોડાયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં થાઈલેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ પ્રદર્શન માટે મોકલવાની ઘોષણા કરી હતી.
થાઈલેન્ડના પ્રધાનમંત્રીશ્રીએ પણ ભારતમાં બુદ્ધિષ્ટ સર્કિટનો વ્યાપ વધારવા તેમના તરફથી સહયોગ કરવાની ખાતરી આપી હતી. આ બુદ્ધિષ્ટ સર્કિટમાં ગુજરાતના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.
આ સંદર્ભમાં આદરણીય બૌદ્ધ ધર્મગુરુ શ્રી સોમદેજ ફ્રા થેરાયન મુની તા. ૧૬ જૂનથી ૨૨મી જૂન દરમિયાન ભારત પ્રવાસે તેમના પ્રતિનિધિ મંડળ સાથે આવેલા છે. આ પ્રવાસ દરમિયાન તા. ૧૭ થી ૨૧ જૂન સુધી તેઓ વડોદરા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દ્વારિકાની મુલાકાતે જવાના છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ આદરણીય શ્રી સોમદેજ ફ્રા થેરાયન મુનિની ગુજરાત મુલાકાત શાંતિ અને સદભાવનો સંદેશ આપનારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એટલું જ નહીં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત – થાઈલેન્ડના સંબંધોનો સેતુ વધુ મજબૂત બનાવવામાં પણ આ મુલાકાત ઉપયુક્ત બનશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારત-થાઈલેન્ડ બેય રાષ્ટ્રોની સાંસ્ક્રતિક એકતા, શાંતિ અને ધમ્મના સહિયારા મૂલ્યોનો સંદર્ભ આપ્યો હતો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૯માં UNGAમાં આપેલા સંદેશમાં જે વાત કહી હતી કે “આપણે એવા દેશના છીએ જેણે વિશ્વને યુદ્ધ નહિ બદ્ધ આપ્યા છે” તેનું પણ સ્મરણ કર્યુ હતું.
પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે પ્રતિનિધિમંડળને ગુજરાતના સમૃદ્ધ બૌદ્ધ વારસા વિશે વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે ગુજરાતમાં મળી આવેલા બૌદ્ધ સ્તૂપો, વિહારો અને ખડકોમાં કોતરેલી ગુફાઓની શ્રેણીના સમૃદ્ધ વારસા અને 2જી BCE થી 6ઠ્ઠી CE સુધીના ઇતિહાસ વિશે માહિતી આપી હતી.
પ્રતિનિધિમંડળે વડનગરના બૌદ્ધ વારસા, ઝુઆનઝાંગ (હુએન ત્સાંગ) સાથેના જોડાણમાં ઊંડો રસ દાખવ્યો હતો. ખાસ કરીને દેવની મોરીનો ઇતિહાસ અને દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના અવશેષો વિશે જાણવા માટે પ્રતિનિધિમંડળે ઉત્સુકતા દર્શાવી હતી. પ્રતિનિધિમંડળને દેવની મોરી સ્થળ વિકસાવવા અને ડૂબી ગયેલા સ્તૂપની પ્રતિકૃતિ બનાવવા અને વડાપ્રધાનશ્રી દ્વારા કલ્પના કરાયેલી દેવની મોરીને વૈશ્વિક બૌદ્ધ યાત્રાધામ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રયાસો અને ભવ્ય યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની બેઠક દરમિયાન, શ્રી સોમદેજ ફ્રા થેરાયન મુનિએ મુખ્યમંત્રીની ચેમ્બરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે કોલકત્તાના બેલુર મઠમાં સમય વિતાવ્યો છે. તેમણે સ્વામી વિવેકાનંદ સાથેના તેમના ઊંડા જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બૌદ્ધ ધર્મગુરુ આદરણીય શ્રી સોમદેજ ફ્રા થેરાયન મુનિને સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કર્યું હતું. બૌદ્ધ ધર્મગુરુએ પણ મુખ્યમંત્રીશ્રીને બૌદ્ધ ધર્મ સાહિત્ય પ્રકાશનો અને પ્રતિમા વગેરેની સ્મૃતિ ભેટ આપી હતી.
આ મુલાકાત બેઠકમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને પ્રવાસન અગ્ર સચિવ ડૉ. રાજેન્દ્રકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.