Rathyatra: ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર ૧૪૮મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના અને સંધ્યાઆરતીમાં સહભાગી થયા હતા. ભગવાન જગન્નાથજીનાં દર્શન કરીને મુખ્યમંત્રીશ્રીએ ધન્યતા અનુભવી હતી. 

અમદાવાદના જગન્નાથજી મંદિરે પૂજા-અર્ચના અને સંધ્યા આરતી કર્યાં બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો માટે સામાજિક સમરસતા મહોત્સવ બની છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળવાના છે અને લોકોને સામે ચાલીને દર્શન આપવાના છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પર્યાયરૂપ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરહંમેશ જળવાઈ રહે અને રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે, ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાનન જગન્નાથજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા AI ની મદદથી સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન કરવામાં આવ્યો છે તેમજ ૧૭ જેટલાં નાગરિક સહાયકતા કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદશ્રી દિનેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ,  સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમ્યુકોના ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી, અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિક સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.