CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીએ શનિવાર , તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ઉજ્વાનારું વિઘ્નહર્તા-સુખકર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, સમાજ જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ તેજોમય બનાવશે એવી મંગલકામના પણ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યકત કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને શનિવારે , 7 સપ્ટેમ્બરે ઉજ્વાનારા સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.

તેમણે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણનું પર્વ ગણાવતાં જણાવ્યું છે કે, મન, વચન અને કર્મથી જાણે-અજાણે થયેલી ભૂલોની ક્ષમા-યાચનાનું આ પર્વ છે.

ક્ષમા, સંતોષ, સરળતા, વિનમ્રતા તેમજ કરૂણા અને જીવદયાના ભગવાન શ્રી મહાવીરના સિદ્ધાંતોને સમાજ જીવનમાં આત્મસાત કરનારૂં પર્યૂષણ પર્વ, સામાજિક સમરસતા અને માનવતાની શક્તિઓને વધુ પ્રગાઢ બનાવશે એવી શ્રદ્ધા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીએ ગુજરાત અને દેશ-વિદેશમાં વસતા સૌ જૈન પરિવારોને સંવત્સરી પર્વની શુભેચ્છાઓ સાથે મિચ્છામી દુક્કડમ પણ પાઠવ્યા છે.