Banaskantha: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમજ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ રકમ ફાળવી છે.

બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસકાંઠાના સંબંધિત જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ 3.75 મીટરમાંથી 7 મીટર ટુ-લેન થવાથી બનાસકાંઠાના રાહથી રાજસ્થાન જવા માટે અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહનવ્યવહારને વધુ સરળતા થશે.