આમ આદમી પાર્ટી કડી અને વિસાવદરની બંને વિધાનસભા પેટા ચૂંટણીઓ લડી રહી છે. તો આજે કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નોર્થ ઝોન ઓબ્ઝર્વર રાજેશ શર્મા અને પ્રદેશ ઉપપ્રમુખ ગૌરીબેન દેસાઈ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા જન આર્શીવાદ યાત્રા શરુ કરી હતી. મેલડી માતાના મંદિરથી નીકળ્યા બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ જન આશીર્વાદ યાત્રા આગળ વધી અને કડીના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈને ઉમેદવાર જગદીશ ચાવડાએ કડીની જનતાના આશીર્વાદ લીધા.

આ દરમિયાન કડી વિધાનસભા પેટા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કડી શહેર અને કડી ગ્રામ્યના રોડ રસ્તાઓ એકદમ બિસ્માર હાલતમાં પડ્યા છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ સિવાય ખેડૂતોના, પાણીના, યુવાનોની રોજગારીના અને ભ્રષ્ટાચારના જેવા અનેક મુદ્દાઓ છે જેના પર હું ચૂંટણી લડી રહ્યો છું. હું અનુસૂચિત જાતિ સમુદાયનો વ્યક્તિ છું અને કડીમાં ખાવડ ગામ આવ્યું છે હું ત્યાંનો દીકરો છું મતલબ કે હું કડીનો સ્થાનિક વ્યક્તિ છું અને ખેડૂત પુત્ર છું. છેલ્લા ત્રણ વર્ષમાં હું 55 ગામડાઓની સફર કરી ચૂક્યો છું અને હવે મારે બાકીના 45 ગામડાઓ ફરવાના બાકી છે. અહીંના દલિત સમુદાયના લોકો અહીંના વંચિત સમુદાયના જે પણ લોકો છે તે લોકોની તકલીફો હું જાણું છું અને સમજો છો. માટે દલિત સમુદાય અને તમામ વંચિત સમુદાયના લોકોનું મને ખૂબ જ સમર્થન છે. સાથે સાથે પટેલ અને ઠાકોર સમુદાયના પણ ઘણા આગેવાનોના મને ફોન આવ્યા અને ઘણા આગેવાનો મને મળીને ગયા તે તમામ લોકોએ કહ્યું છે કે તેમનો સમાજ પણ આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મારી સાથે છે. માટે મને પૂરો વિશ્વાસ છે કે તમામ સમુદાય અને તમામ વર્ગના લોકોના સમર્થનથી અમે મજબૂતીથી ચૂંટણી લડીશું અને ચૂંટણી જીતીશું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કડીના લોકોએ તન, મન અને ધનથી આ વખતે જોર લગાવીને જગદીશ ચાવડાને વિક્રમની માર્જિનથી વિજય બનાવવાના છે. આમ આદમી પાર્ટીની પંજાબમાં સરકાર છે ત્યાં ખેડૂતોએ લાઈનોમાં ઊભા નથી રહેવું પડતું, ભગવંત માન સાહેબે ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરી છે, ખેડૂતોને પૂરતા ભાવ અપાવ્યા. તો જો આ કડીની ચૂંટણીમાં એકવાર ભાજપ હારશે તો ભાજપે ખેડૂતોનું દેવું માફ કરવું પડશે, જો આ ચૂંટણીમાં જગદીશ ચાવડા જીતશે તો ભાજપે ફરી એકવાર પાક વીમા યોજના લાવવી પડશે, જો આમ આદમી પાર્ટી કડીથી જીતશે તો ભાજપે ખેડૂતોને પૂરતા ભાવ આપવા પડશે. માટે આ ચૂંટણી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આપ તમામ લોકોએ ખૂબ જ દમ લગાવીને આ ચૂંટણી લડવાની છે. આ ચૂંટણીમાં આપણે કોઈનાથી ડરવાના નથી અને કોઈની સામે ઝુકવાના પણ નથી. આ ચૂંટણી આપણે સામે છાતીએ લડીશું અને જીતીશું. આ ચૂંટણી દ્વારા ફક્ત કડીની નહીં પરંતુ આખા ગુજરાતની રાજનીતિ બદલવા જઈ રહી છે.