Ambaji: યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું  કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તમામ માપદંડોને આધારે અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. 

આ સિદ્ધિ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા તથા મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે.

ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી, સ્વચ્છતા અને ગુણવત્તાના કડક માપદંડો અનુસર્યા હોય તેમને જ “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર આપવામાં આવે છે.

અંબાજી મંદિરની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. ભવિષ્યમાં પણ મંદિર ટ્રસ્ટ આ દિશામાં સતત પ્રગતિ કરાશે તેમ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી દ્વારા એક અખબાર યાદીમાં જણાવ્યું છે.