Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય વિષયક સેવા – સુવિધાઓમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. બાળકોને આપવામાં આવતી રોગ પ્રતિરોધક રસીકરણમાં પણ ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં નિતી આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્ષ 2024 ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે.તેમાં પણ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાત રાજયની ઉપલબ્ધિ 95.95 % છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને ગત વર્ષનાં SDG 88 % થી ખુબજ નોંધપાત્ર વધારો થયેલ છે.

આ સંદર્ભે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા એક અખબારી યાદી પ્રકાશિત કરીને “રોગપ્રતિરક્ષા રસીકરણમાં 90 ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરીસ્સા રાજયની છે તેમ જણાવીને ગુજરાત 21 ક્રમ સાથે છેવાડાનું રાજય” છે તેવો અહેવાલ હકીકતથી વિપરિત અને જુના સર્વે ડેટા આધારિત પ્રકાશિત કરીને ગુજરાતની જનતાને ભ્રમિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ખરેખર તેમની આ ઉપરોકત યાદીમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5 , વર્ષ 2019-21 નાં ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જુનો સર્વે ડેટા છે . જેમાં ગુજરાત રાજયનું સંપૂર્ણ રસીકરણ કવરેજ મહદઅંશે સમગ્ર ભારત દેશનાં કવરેજ જેટલુ અને મોટા રાજયોની સરખામણીએ 13 માં સ્થાને છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ડેટા સેટમાં સરખામણી મોટા રાજયોની કરવામાં આવે છે. વધુમાં, હાલમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-6 , વર્ષ 2023-24ની કામગીરી પ્રગતિમાં છે.

રાજયમાં રસીકરણ થી અટકાવી શકાય તેવા રોગો ખાસ કરીને ડીપ્થેરિયા, મેટેરનલ અને નીઓનેટલ ટીટેનસ માં રાજય સરકારનાં સઘન પ્રયાસોથી ખુબજ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. વધુમાં, સઘન માતા અને બાળ આરોગ્ય સેવાઓ અને સગર્ભા માતાઓના રસીકરણ અને સંસ્થાકિય પ્રસુતિ થી મેટરનલ અને નીયોનેટલ ટીટેનસના કેસોની નાબુદી WHO દ્વારા 2009માં પ્રમાણિત કરવામાં આવેલ હતી . તાજેતરમાં જુન 2024 માં WHO દ્વારા ફરીથી પ્રમાણિત કરવામાં આવેલ છે તે સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમની સફળતા દર્શાવે છે. રાજયમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ વધારવા માટે વર્ષ 2023માં ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ 5.0 અંતર્ગત રસીકરણ બાકી રહી ગયેલ હોય કે કોઈ છુટી ગયેલ હોય તેવા બાળકોને ઝુંબેશરૂપે આવરી લેવામાં આવ્યા છે. અને કુલ 78,458 બાળકોનું રસીકરણ કરવામાં આવેલ છે.

મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યારસુધીમાં કુલ 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભામાતાઓનું રસીકરણ કરવામાં આવેલ છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ બાળક જીવનરક્ષક રસીથી વંચિત ન રહી જાય તેવી રાજય સરકારની નેમ છે તે જોતા દર વર્ષે શાળાઓ શરૂ થતા અને બાળવાટિકાઓમાં ડીપીટી બીજો બુસ્ટર અને TD(ટીટનસ અને ડીપ્થેરીયા) રસીકરણ અભિયાન યોજવામાં આવે છે. સ્થળાંતરિત કરેલ અને બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરોનાં બાળકો અને સગર્ભા મહિલાઓને, શ્રમ વિભાગ સાથે સંકલન કરી તેમના દ્વારા ચલાવવામાં આવતા ધન્વંતરિ રથ દ્વારા રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવી નવીન પહેલ દ્વારા ખાસ કરીને વાડી વિસ્તારો અને દૂર અંતરિયાળ જગ્યાઓએ વસેલા આદિવાસી લોકો માટે રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.