Ahmedabad: ગુજરાતભરમાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટમોડમાં છે. ત્યારે વરસાદને કારણે મચ્છરોના કારણે અનેક બીમારીઓ થવાના પણ કારણ હોય છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૫ મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે.

આગામી સમયમાં જરૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ટીમ મોકલાશે. જેમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે ૨૦, વડોદરા જિલ્લામાં ૧૦, ૨ ટીમ મોરબી અને ૩ ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમમાં સુરત થી ૫, ભાવનગર થી ૫, ગાંધીનગર અને અમદાવાદ થી ૧૦ – ૧૦ અને રાજકોટ થી ૫ આમ કુલ ૩૫ ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે.

દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, ૨ પેરામેડિકલ સ્ટાફ , ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે. તમામ ટીમ દ્વારા ત્રણે જિલ્લામાં યુધ્ધના ધોરણે આજ સવાર થી જ મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે. આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં ક્લોરીનેશન પણ ચકાસવામાં આવશે.