Acharya Devvrat: ગુજરાતના કૃષિ વિભાગના તમામ પ્રભાગોના તમામ અધિકારીઓ-કર્મચારીઓ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રશિક્ષિત કરવાના કામમાં જોડાશે. આજે ગાંધીનગરમાં-રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કૃષિ વિભાગના તમામ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના મિશનમાં જોડાઈ જવા માર્ગદર્શન આપ્યું હતું. રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં રાજ્યના કૃષિ તજજ્ઞો સાથેના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, આજે દેશમાં સૌથી વધુ જરૂરિયાત પ્રાકૃતિક ખેતીની છે. દેશ આઝાદ થયો ત્યારે અન્ન ઉત્પાદનમાં આત્મનિર્ભરતા કેળવવા તે વખતના કૃષિ વૈજ્ઞાનિકોએ એક હેક્ટર ભૂમિમાં 13 કિલો નાઇટ્રોજનના છંટકાવની ભલામણ કરી હતી. આજે આપણે એક એકરમાં 13 થેલા ભરીને રાસાયણિક ખાતર ઠાલવીએ છીએ. યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ જેમ જેમ વધ્યો છે, તેમ તેમ ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે.

રાસાયણિક ખાતરની માત્રા વધારવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થવાની નથી. જમીનની ફળદ્રુપતા વધારવી પડશે અને એ માત્ર અને માત્ર પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, ગુજરાતમાં અત્યારે 9,71,270 ખેડૂતો 7,92,989 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સૌના સહિયારા પ્રયત્નોથી આગામી એક જ વર્ષમાં ગુજરાતમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે મિશન મૉડમાં ‘મિશનરી’ કાર્ય કરવાનું છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા તાલીમ અનિવાર્ય છે. કૃષિ વિભાગના તમામ પ્રભાગોના તમામ અધિકારીઓ અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકો આ કામમાં સહયોગ આપે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સૌ અધિકારીઓને પ્રાકૃતિક ખેતીનું વિસ્તૃત પ્રશિક્ષણ આપ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતી વિશે જાણવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા તત્પર છે ત્યારે ગુજરાતે નેતૃત્વ કરવાનું છે. ઓગસ્ટના આરંભે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા રાજ્યપાલોના સંમેલનમાં પણ પ્રાકૃતિક ખેતી ચર્ચાનો મુખ્ય મુદ્દો રહ્યો. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તમામ રાજ્યપાલોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ગુજરાત મોડેલ અપનાવવાનો અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે, આપણે આપણા બાળકોને બંજર જમીન આપીને જઈશું? પ્રદૂષિત હવા અને પ્રદૂષિત પાણી આપીને જઈશું? દરેક વ્યક્તિને ગંભીર બીમારી આપીને જઈશું? ખેડૂતોને દેવાના ડુંગર તળે ડુબાડીને જઈશું? જો આ પરિસ્થિતિ બદલવી હશે, તો પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વિના નહીં ચાલે. પ્રાકૃતિક ખેતી નામ એક છે પણ તે અનેક સમસ્યાઓનો ઉપાય છે.

તેમણે કહ્યું કે, ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પરિવર્તન આવશે, એ માટે અત્યારે પહેલ કરવી પડશે. તેમણે ખેડૂતોને પોતાની થોડી જમીનમાં પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અપીલ કરી છે. રાજ્યના કૃષિ તજજ્ઞોને સંબોધતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે અને ગુજરાત સરકારનું પણ મિશન છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે મિશન મૉડ પર કામ કરવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. આજના સમયમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. ભૂમિ બિન ઉપજાઉ બની રહી છે. પ્રાકૃતિક ખેતી વિના અન્ય કોઈ વિકલ્પ જમીનને બચાવી નહિ શકે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ગામમાં ૨૪ કલાક વીજળી પહોચે. એ કોઈએ ક્યારેય વિચાર્યું ન હતું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ હતો કે, ગુજરાતમાં ગામે ગામ 24 કલાક વીજળી પહોચાડવી. નરેન્દ્રભાઈ મોદીનો બીજો સંકલ્પ છે કે, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દેશમાં વધે, આ દિશામાં ભારત આજે આગળ વધી રહ્યું છે.