આમ આદમી પાર્ટી(AAP)ના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના મુદ્દા પર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો હતો અને આ વિશે તેમણે એક વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે પહેલા વરસાદમાં જ બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. ગઢડા તાલુકા અને બોટાદ તાલુકાના ઘણા ગામોમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ એક જ દિવસમાં નોંધાયો છે. જેના કારણે મોટાભાગના ગામોમાં લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. આજે મેં પોતે ઘણા અસરગ્રસ્ત ગામોને મુલાકાત પણ લીધી. મોટાભાગના ખેડૂતોની જમીનોમાં નદીઓનું પાણી પસાર થયું છે. એટલે કે ઘણી જગ્યાએ જમીનોનું પણ ધોવાણ થયું છે. ઘણા લોકો એ જે પ્રથમ વખતની વાવણી કરી હતી તો તે લોકોનું બિયારણ પણ ધોવાઈ ગયું છે. તો આ રીતે ખૂબ જ મોટું નુકસાન બોટાદ જિલ્લાના ખેડૂતોને થયું છે. તો આ મુદ્દા પર મેં મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે. અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેના પર વળતર ચૂકવવામાં આવે.

સાથે સાથે એક બીજા પત્રમાં મેં જણાવ્યું છે કે બોટાદ જિલ્લાના ઘણા બધા ગામોને જોડતા જે રોડ હતા તે પણ ધોવાઈ ગયા છે અને તૂટી ગયા છે. આ મુદ્દે પણ મેં પત્રમાં વિનંતી કરી છે કે આવા ટુટેલા રોડો ને તાત્કાલિક અસરથી નવા બનાવવામાં આવે અને જે પુલ તૂટી ગયા છે અને જે પણ પુલો જર્જરીત થઈ ગયા છે કે ધોવાઈ ગયા છે આવા તમામ પુલોની યાદીને સ્થળ વિઝીટ કરીને કાર્યપાલકની સાથે રહીને બનાવી છે. આવા તમામ પૂલોને પણ સરકાર પાસે નવા બનાવવાની માંગણી કરી છે. નવા રોડ બનાવવાની માંગણી કરી છે અને સાથે સાથે જે રોડ બની રહ્યા હતા અને તૂટી ગયા છે અને જે કોન્ટ્રાક્ટરોએ નબળી ગુણવત્તાના કામ કર્યા છે તો તેના પણ તપાસ માટે અમે સરકાર સમક્ષ માગણી કરી છે.