બોલિવૂડ સ્ટાર આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનને લોન્ચ કરતાં અને આવતીકાલે નેટફલીક્સ પર રિલીઝ થનારી “મહારાજ” ફિલ્મને લઈને વિવાદ સામે આવ્યો છે. હવે આખો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયને લઇ વિવાદીત ટિપ્પણીઓ અન હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડતી બાબતો વણાયેલી હોવાના વિવાદને લઇ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

અરજીની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે “મહારાજ” ફિલ્મને રિલીઝ કરવા સામે આપ્યો વચગાળાનો મનાઇ હુકમ કર્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના ભકતો અને વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, મહારાજ ફિલ્મ એ મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨ પર આધારિત ફિલ્મ છે અને તેમાં વૈષ્ણવ-પુષ્ટિમાર્ગીય સંપ્રદાય અને હિન્દુ ધર્મની આસ્થા અને લાગણીને ઠેસ પહોંચાડતી વાતો અને ટિપ્પણીઓ, બાબતો રજૂ કરવામાં આવી છે. જેના કારણે જાહેર વ્યવસ્થાને વિપરીત અસરો થશે અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવવાની દહેશત છે.

મહારાજ બદનક્ષીનો કેસમાં ૧૮૬૨માં એ વખતે બોમ્બેની સુપ્રીમકોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા હિન્દુ ધર્મની નિંદા કરતો અને ભગવાન શ્રીકૃષ્ણના ભકિતગીતો-સ્તોત્રો વિરૃધ્ધ નિંદાકારક ટિપ્પણી કરતો ચુકાદો આપ્યો હતો, તેના આધાર પર આ ફિલ્મ બનાવાઇ છે. જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચશે.

તમને જણાવી દઈએ કે, આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર મહારાજ ફિલ્મ ઉપર ગુજરાત હાઈકોર્ટે હંગામી સ્ટે આપ્યો છે. નેટફ્લિક્સ ઉપર ફિલ્મ આવતીકાલે રિલીઝ થવાની હતી. હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવી ફિલ્મ હોવાથી બજરંગ દળે પણ તેનો વિરોધ કર્યો હતો. સોશિયસ મીડિયા પોસ્ટ ઉપર મહારાજ ફિલ્મનો વિરોધ ટ્રેન્ડ કરી રહ્યો છે. નોંધનિય છે કે, યશરાજ ફિલ્મ્સ બેનરે મહારાજ ફિલ્મ બનાવી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આમીર ખાનની ફિલ્મ પીકેને લઈને પણ વિવાદ સામે આવી ચૂકયો છે. હવે તેમના પુત્રની ફિલ્મ પણ વિવાદમાં ફસાઈ છે.