થોડા દિવસ પહેલા Kolkataમાં એક ડોક્ટર દીકરી પર દુષ્કર્મ કરવામાં આવ્યો અને તેની નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી. આ ઘટના બાદ સમગ્ર દેશમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને Aam Aadmi partyના ગુજરાત સંગઠને મૃતક ડોક્ટર દીકરીને ન્યાય મળે અને તેના ગુનેગારોને તાત્કાલિક ધોરણે સખતમાં સખત સજા મળે એ માંગ સાથે આજે સુરત ખાતે એક દિવસના પ્રતીક ધરણાનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારી સાથે સાથે આમ આદમી પાર્ટીનું ગુજરાત સંગઠન તથા સુરતના મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એક માંગ સાથે ધરણા પર બેઠા છીએ. કલકત્તામાં જે ડોક્ટર દિકરી સાથે નિર્મમતાથી બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.

આજે અમે સમગ્ર આમ આદમી પાર્ટી વતી એવી માંગ કરીએ છીએ કે આ ડોક્ટર દીકરી પર દુષ્કર્મ કરનાર અને તેની હત્યા કરનાર હેવાનોને સખતમાં સખત સજા કરવામાં આવે. સાથે સાથે સમગ્ર દેશમાં મહિલા વિરોધી ગુનાઓની સામે એવા કડક પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ કોઈ પણ મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર કરવાની હિંમત પણ ન કરે. આ માંગણીની સાથે સાથે અમે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ કે ભગવાન પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મૃતક ડોક્ટર દીકરીની આત્માને શાંતિ આપે.