આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ મહામંત્રી Sagar Rabari અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ એક ગંભીર અને મહત્વપૂર્ણ મુદ્દે ઘટસ્ફોટ કરવા માટે જુનાગઢ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. . આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે એક ગંભીર મુદ્દા પર અમે મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. જેમની પર ફ્રોડના આરોપ લાગતા હતા તેવા ભાજપના વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલે સાબિત કર્યું છે કે તેઓ પોતે ફ્રોડ છે. બે થી ત્રણ દિવસ પહેલા તેમણે પોતાના નામનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ લેટરમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે વિસાવદર ભેસાણ તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી મુક્ત કરવા માટે મુખ્યમંત્રી અને મુળુભાઈ બેરાનો આભાર. ગઈકાલે તેમના નામાંકન વખતે મુખ્યમંત્રીની હાજરીમાં તેમણે ફરી એકવાર આ વાતનો ઉલ્લેખ કર્યો અને આ વખતે 13 ગામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ હું ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની આ વાતને નકારી કાઢું છું આ વાત વિસાવદરના લોકોની આંખોમાં ધૂળ નાખવા સમાન વાત છે. ચૂંટણી આવી છે અને તેઓ મત લેવા માંગે છે તે એટલા માટે તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે. કારણકે હકીકત એ છે કે આ ફેરફાર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે છે જ નહીં. આ કામ ફક્ત સુપ્રીમ કોર્ટના દિશાની નિર્દેશ અનુસાર જ થઈ શકે છે.

તેમણે જે લેટર વાયરલ કર્યો હતો તેમાં જ લખેલું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણયને અમલમાં મૂકી શકાશે તો અમારો સવાલ છે કે જો નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ આ નિર્ણય પર અમલ થઈ શકતો હોય તો તમે મુખ્યમંત્રીનો આભાર શા માટે માનો છો? તમે મીડિયા સમક્ષ 13 ગામ બોલો છો, પરંતુ લેટરમાં 10 કામ લખો છો આ તફાવત કેમ? આ તમામ વાતો ફક્ત ચૂંટણીમાં મત લેવા માટે થઈ રહી છે. હવે લોકો સમજી ગયા કે મુખ્યમંત્રીની હાજરીમાં લોકોને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીને આ વાતની જાણ હશે તેમ છતાં પણ તેઓ કશું બોલ્યા નહીં, શા માટે? જો સરકારે આવું કામ કર્યું હોય તો અમને પરિપત્ર બતાવો કારણ કે સરકાર બયાનથી નહીં પરંતુ પરિપત્રથી ચાલે છે અને ઠરાવથી ચાલે છે.

બીજી મહત્વપૂર્ણ વાત કે અમે ગીરમાં રહીએ છીએ તમને ખબર છે કે ક્યારેય પણ વન વિભાગની જમીન રેવન્યુ વિભાગમાં પરત કરવામાં આવતી નથી. રેવન્યુ વિભાગમાંથી વન વિભાગ જમીન લઈ લે તેવા અનેક દાખલાઓ છે પરંતુ વન વિભાગમાં ગયેલી જમીન ક્યારે રેવન્યુમાં આવી નથી. અમુક સ્પેશિયલ કેસમાં જ આવા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં વન વિભાગને પરત કરેલી જમીન રેવન્યુ વિભાગે એટલા જ માપની જમીન પાછી આપી હોય.

ત્રીજી એક મહત્વપૂર્ણ વાત કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટની જમીનો તો બીજા અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ છે તો પછી ફક્ત વિસાવદરના દસ ગામડાઓને જ કેમ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા તેવી વાત તેમણે કરી? માની લો કે તમે આ કામ કરી લીધું છે તો ફક્ત વિસાવદરના ગામડા જ કેમ બીજા બધા તાલુકા અને જિલ્લાઓના ગામડાઓ માટે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો નથી? તો શું હકીકતમાં ભાજપ ગામડાઓની જમીનને પ્રોટેક્ટર ફોરેસ્ટમાંથી દૂર કરવા માંગે છે કે નહીં તે પણ મોટો સવાલ છે કારણ કે ભાજપની મંસા પર હંમેશા સવાલ ઉઠ્યા છે. જો હું ભૂતકાળની વાત કરું તો 2016માં ઇકોઝૉન મુદ્દે મેં મુખ્યમંત્રી સાથે સામે બેસીને 21 ગામોની ચર્ચા કરી હતી તે સમયે મુખ્યમંત્રીએ 21 ગામોના સેટલમેન્ટની બાંહેધરી આપી હતી અને એ વાતને દસ વર્ષ થવા આવ્યા તેમ છતાં પણ એ કામ હજુ સુધી થયું નથી.

કિરીટ પટેલ ભાષણમાં બોલે છે કે જમીનોના ભાવ વધે, પરંતુ અમારું માનવું છે કે ઈકોઝોન આવ્યા બાદ જમીનના ભાવ ઘટી જશે. જો તમારે ગીર અને વિસાવદરની જમીનના ભાવ વધારવા હોય તો ઇકોઝોન હટાવી દો. પરંતુ તેઓ ઇકોઝોન હટાવવા માટે કોઈ પગલા નથી ભરી રહ્યા કારણકે તેઓ ફક્ત મત લેવા માટે વાતો કરી રહ્યા છે. તો અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી હતી કે કિરીટ પટેલ ફ્રોડ છે અને ગઈકાલે કિરીટ પટેલે પોતે સાબિત કરી દીધું કે તેઓ ફ્રોડ છે. કારણકે જે કામ કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે છે જ નહીં તે કામ કરવા માટે મુખ્યમંત્રીનો આભાર તે માની રહ્યા છે આ ફક્ત મત લેવા માટે બધું થઈ રહ્યું છે. ગુજરાતની જનતા અને વિસાવદરની જનતા આવા લોકો પર ક્યારેય વિશ્વાસ કરશે નહીં.

હજુ તો કિરીટ પટેલ ઉમેદવાર તરીકે આવ્યા છે અને તેઓ લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે તો માની લો કે જો તેઓ જીતી જશે તો તેઓ જીત્યા પછી શું-શું કરશે? અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદરની જનતા આ બાબતે ચોક્કસ મજબૂત જડબાતોડ જવાબ આપશે અને બદલો લેશે. હું કિરીટ પટેલને એટલું જ કહીશ કે જો તમે લોકોનું ભલું કરવા જ ઈચ્છતા હોય તો ઇકોઝોન રદ કરાવી દો અને બીજા અનેક ગામડાઓ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં છે તો તેમાંથી પણ દૂર કરાવી દો. ફ્રોડ કરીને અને લોકોની આંખોમાં ધૂળ નાખીને જો કોઈ એક વ્યક્તિ મત લેવા માંગે છે તો વિસાવદરની જનતા આવી કોઈ વાત ચલાવી લેશે નહીં.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી Sagar Rabariએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે વ્યક્તિ માટે અનેક લોકો કહી ચૂક્યા છે કે તે ફ્રોડ છે તેમણે ગઈકાલે જાતે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ એક ફ્રોડ છે. મુખ્યમંત્રીની હાજરીમાં જો આ વાત કરવામાં આવી હતી તો હવે મુખ્યમંત્રી પોતે જાહેર કરે કે શું આ કામ કરવા માટે ક્યારેય પણ તેમણે કોઈ સર્વે કરાવ્યો છે કે કેમ? ઉમેદવાર ચૂંટણીમાં મત લેવા માટે છેતરપિંડી કરે તેનો એ મતલબ નથી કે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિ આ છેતરપિંડીમાં ભાગીદાર બને. જો મુખ્યમંત્રી આ છેતરપિંડીમાં ભાગીદાર થયા છે તો ભુપેન્દ્રભાઈ પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. બંધારણીય પદોનો ઉપયોગ પેટા ચૂંટણી માટે ક્યારેય પણ થઈ શકે નહીં.

બીજી વાત કે કિરીટભાઈ પટેલના ફોર્મ માં બે વાંધા હતા, પહેલું કે, ચૂંટણીના ફોર્મની સાથે એક એફિડેવીટ રજૂ કરવાનું હોય તે એફિડેવિટનું ચૂંટણી પંચનું એક ફોર્મેટ હોય છે તે ફોર્મેટમાં તમારે સવાલોના જવાબો લખવા પડે છે અને જ્યાં વધારાની વિગતો આપવાની હોય ત્યાં અલગથી બીડાણ માટેની નોંધ હોય છે. ચૂંટણી પંચનો જે ખરડો છે તેમાંથી એક આખો પેરેગ્રાફ કિરીટ પટેલની એફિડેબિટમાંથી ગાયબ થઈ ગયો છે. માટે તેમણે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવી છે એવું આપણે માની શકીએ.

બીજું કે એક કોલમ હોય છે જેમાં હા અથવા ના માં જવાબ આપવાનો હોય છે તેમાં તેમણે “લાગુ પડતું નથી” તેવો જવાબ લખ્યો છે. જો જવાબ હા હોય તો તેની વિગતો આપવી પડે અને જો જવાબ ના હોય તો માત્ર ના લખવાનું હોય છે, પરંતુ એની જગ્યાએ કિરીટભાઈ પટેલે “લાગુ પડતું નથી” લખ્યું છે અને એ લખવાનો અર્થ એવો છે કે તેમણે ઈરાદાપૂર્વક કોઈ વિગતો છુપાવી છે જે વિગતો તેઓ આપવા માંગતા ન હતા. માટે તેમણે હા અને નાની જગ્યાએ એક વચ્ચેનો જવાબ લખ્યો કે “લાગુ પડતું નથી”. આ બંને બાબતો એવી છે જેમાં કોઈ પણ ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે અને ચૂંટણીના કાયદા પ્રમાણે જો તમે ઈરાદાપૂર્વક કોઈ હકીકતો છુપાવો છો તો તેને કોર્ટમાં પડકારી શકાય છે. આ ફોર્મ મંજૂર થઈ ગયું હોય કે પછી ચૂંટણી પણ જીતાઈ ગઈ હોય તેમ છતાં પણ પાછળથી કોર્ટ આ ફોર્મને રદબાતલ કરી શકે છે. ચૂંટણી પંચે કિરીટ પટેલનું આ ફોર્મ મંજૂર કર્યું છે તેના માટે અમે અમારા લીગલ એક્સપર્ટની સાથે બેસીને આગળ કેવા પગલાં ભરવા તે મુદ્દે ઝડપથી નિર્ણય લઈશું