વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં Kajol સાથે કામ કરનાર અભિનેત્રીએ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. 6 જૂને લોખંડવાલામાં તેના ફ્લેટમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.

તાજેતરમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે, એક પ્રખ્યાત અભિનેત્રીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી છે. તે અભિનેત્રી છે નૂર મલબીકા દાસ, જેણે વર્ષ 2023માં રિલીઝ થયેલી કાજોલની વેબ સિરીઝ ‘ધ ટ્રાયલ’માં કામ કર્યું હતું. પોલીસને નૂરનો મૃતદેહ તેના ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. માનવામાં આવે છે કે નૂરે બેડરૂમના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીના મૃત્યુના સમાચારથી સમગ્ર ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. 

પોલીસને કોણે જાણ કરી?  

આ ઘટના વિશે વાત કરતા મુંબઈ પોલીસે જણાવ્યું કે, ઓશિવરા પોલીસને અભિનેત્રીના પડોશીઓએ ફ્લેટમાંથી આવતી દુર્ગંધ અંગે જાણ કરી હતી. આ પછી, માહિતી મળતાની સાથે જ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી અને દરવાજો તોડીને નૂરના ફ્લેટમાં પ્રવેશ્યા પછી, પોલીસને અભિનેત્રીનો મૃતદેહ પંખાથી લટકેલી હાલતમાં મળ્યો. હાલ પોલીસે અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ વધુ માહિતી મળશે. 

તમને જણાવી દઈએ કે 32 વર્ષની નૂર મલબીકા આસામની રહેવાસી હતી. તેણે ઘણી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. જેમાં ‘સિકિયાં’, ‘વોકમેન’, ‘ટીખી ચટની’, ‘જગણ્યા ઉપાયા’, ‘ચરમસુખ’, ‘દેખી અનદેખી’, ‘બેકરોડ હસ્ટલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય, તે છેલ્લે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી ‘ધ ટ્રાયલ’માં જોવા મળી હતી. આ શોમાં કાજોલ અને જીશુ સેનગુપ્તા પણ જોવા મળ્યા હતા. નૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હતી. તેણે પાંચ દિવસ પહેલા તેનો હસતો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.