Adani Groupના સમાચાર: હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કપટપૂર્ણ વ્યવહારો અને શેરના ભાવમાં હેરાફેરી સહિતના અનેક આક્ષેપો કર્યા બાદ Adani Groupના શેરમાં ભારે ઘટાડો થયો હતો.

Adani Group સામેના શેરના ભાવમાં થયેલા હેરાફેરીના આરોપોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવાનો ઇનકાર કરવાના તેના 3 જાન્યુઆરીના નિર્ણયની સમીક્ષાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 3 જાન્યુઆરીના ચુકાદા સામે પીઆઈએલ દાખલ કરનારાઓમાંના એક અનામિકા જયસ્વાલ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી.

રિવ્યુ પિટિશન ફગાવી

“રિવ્યુ પિટિશન પર વિચાર કર્યા પછી, રેકોર્ડ પર કોઈ ભૂલ દેખાતી નથી,” બેન્ચે 5 મેના રોજના તેના આદેશમાં જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિયમો 2013 ના ઓર્ડર 47 નિયમ 1 હેઠળ સમીક્ષા માટેનો કોઈ કેસ બહાર આવ્યો નથી. તેથી, રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે છે આ અરજીને જજો દ્વારા ચેમ્બરમાં ધ્યાનમાં લેવામાં આવી હતી. અગાઉ આ વર્ષે 3 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે શેરના ભાવમાં હેરાફેરીના આરોપોની સીબીઆઈ અથવા એસઆઈટી તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) આરોપોની ‘વ્યાપક તપાસ’ કરી રહી છે અને તેનું વર્તન ‘આત્મવિશ્વાસને પ્રેરિત કરે છે’.

શું હતું અરજીમાં?

રિવ્યુ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચુકાદામાં ‘ભૂલો’ હતી અને અરજદારના વકીલ દ્વારા મેળવવામાં આવેલી કેટલીક નવી સામગ્રીના પ્રકાશમાં ચુકાદાની સમીક્ષા માટે પર્યાપ્ત આધારો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ તેના રિપોર્ટમાં આરોપો બાદ કરવામાં આવેલી 24 તપાસની સ્થિતિ વિશે જ કોર્ટને જાણ કરી હતી, પરંતુ તેણે તેમની પૂર્ણતા અથવા અપૂર્ણતા વિશે કોઈ માહિતી આપી નથી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બજાર નિયામકે અદાણી ગ્રૂપ સામેના 24 આરોપોમાંથી 22 કેસમાં તેની તપાસ પૂર્ણ કરી છે.

અદાણી ગ્રુપે આરોપોને ફગાવી દીધા હતા

જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ સામે કરવામાં આવેલા ગંભીર આરોપોના સંદર્ભમાં કોર્ટનો 3 જાન્યુઆરીનો નિર્ણય આવ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કપટપૂર્ણ વ્યવહારો અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે જરૂરી માહિતી શેર કરવા સંબંધિત તમામ કાયદાઓ અને જોગવાઈઓનું પાલન કર્યું છે.