Gujarat Rain Latest News: ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘણા જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને 15,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને 300થી વધુ લોકોને બચાવી લેવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, ગુરુવાર સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે સતત વરસાદને કારણે ડેમ અને નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે 15 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ
ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાના બનાવોમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે આણંદ જિલ્લામાં વૃક્ષો પડવાથી એક વ્યક્તિનું અને વરસાદના પાણીમાં ડૂબી જવાથી બે વ્યક્તિના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પંચમહાલ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, ખેડા, ગાંધીનગર, બોટાદ અને અરવલ્લી જિલ્લાઓમાં વહીવટીતંત્રોએ નદીઓ અને ડેમોમાં પાણીના સ્તરમાં વધારો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ વચ્ચે સાવચેતીના પગલા તરીકે સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. વિસ્તારો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ 100 ટકા વરસાદ થયો છે.

માહિતી અનુસાર, રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના 100 ટકાથી વધુ વરસાદ થયો છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં મંગળવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં 347 મીમી વરસાદ નોંધાયો છે જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સાથે જ પંચમહાલના મોરવા હડફમાં 346 મીમી, ખેડાના નડિયાદમાં 327 મીમી, આણંદના બોરસદમાં 318 મીમી, વડોદરા તાલુકામાં 316 મીમી અને આણંદ તાલુકામાં 314 મીમી વરસાદ નોંધાયો છે.

રેલ ટ્રાફિક પ્રભાવિત
SEOCએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં 251 તાલુકામાંથી ઓછામાં ઓછા 24માં 200 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 91 તાલુકાઓમાં 100 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે. મંગળવારે પડેલા નવા વરસાદને કારણે રાજકોટ શહેરના નીચાણવાળા વિસ્તારો, રસ્તાઓ અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. SEOC ડેટા દર્શાવે છે કે એકલા રાજકોટ શહેરમાં સવારે 6 વાગ્યાથી આગામી ચાર કલાકમાં 142 મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, ખેડા અને દેવભૂમિ દ્વારકામાં પણ સવારે વરસાદ પડ્યો હતો. અપડેટ માહિતી આપતા, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 96 જળાશયોમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર ગયું છે અને તેને લઈને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવા 19 જળાશયોના સંદર્ભમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે જેનું પાણી ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે રેલ વ્યવહારને અસર થઈ હતી, જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી.