Ahmedabad plane crash: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશને મળ્યા હતા. વાતચીત દરમિયાન વિશ્વાસે કહ્યું હતું કે, હું વિમાનમાંથી કૂદી પડ્યો ન હતો, પરંતુ અકસ્માત સમયે સીટ સાથે બહાર આવ્યો હતો.

આ દુ:ખદ અકસ્માત શુક્રવારે વહેલી સવારે બન્યો જ્યારે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા પછી થોડીક સેકન્ડોમાં જ વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું હતું. આ ભયંકર ટક્કરમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકો મૃત્યુ પામ્યા હતા.

વિશ્વાસ કુમાર રમેશ તેના ભાઈથી અલગ બેઠા હતા

વિશ્વાસ કુમાર રમેશ 40 વર્ષીય બ્રિટિશ નાગરિક છે જે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો. તે તેના મોટા ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે યુકે પરત ફરી રહ્યો હતો. અકસ્માત સમયે, વિશ્વાસ ફ્લાઇટની સીટ 11A પર બેઠો હતો, જ્યારે તેનો ભાઈ બીજી હરોળમાં હતો.

અકસ્માતના થોડા કલાકો પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેમાં વિશ્વાસ કુમાર લોહીથી લથપથ એમ્બ્યુલન્સ તરફ ચાલતા જોવા મળ્યા. આ વીડિયોએ આખા દેશને હચમચાવી નાખ્યો.

જ્યારે તેઓ ભાનમાં આવ્યા, ત્યારે ફક્ત મૃતદેહો જ હતા

આ ઘટનાને યાદ કરતાં વિશ્વાસે કહ્યું “ટેકઓફ કર્યાના લગભગ ત્રીસ સેકન્ડ પછી, એક જોરદાર વિસ્ફોટ થયો. અચાનક બધું ધ્રુજવા લાગ્યું અને વિમાન ક્રેશ થયું. જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે ચારે બાજુ ફક્ત મૃતદેહો જ હતા. હું આઘાતમાં હતો. કોઈક રીતે હું ઉભો થયો અને દોડવા લાગ્યો. ચારે બાજુ કાટમાળ પથરાયેલો હતો. કોઈએ મને પકડીને એમ્બ્યુલન્સમાં બેસાડ્યો અને પછી મને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.”

વડાપ્રધાન મોદીએ તેમને સાંત્વના આપી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. વિશ્વાસની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. જોકે તેઓ શારીરિક અને માનસિક બંને રીતે આ દુર્ઘટનાનો સામનો કરી રહ્યા છે.