Ahmedabad plane crash: અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના પરિવારજનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપીલ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, દુઃખની આ ઘડીમાં કેટલાક તકસાધુ તત્વો પરિવારોની મજબૂરીનો લાભ ઉઠાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે છે, જે અંગે સૌએ સાવધ રહેવું અનિવાર્ય છે.
Dr Rajnish Patel સ્પષ્ટપણે જણાવ્યું કે, “અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ ગુજરાત સરકારનું એકમ છે અને અહીં દર્દીઓને અપાતી તમામ આરોગ્ય સુવિધાઓ તેમજ અન્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. હાલમાં ચાલી રહેલી પાર્થિવ દેહ સોંપવાની સંવેદનશીલ પ્રક્રિયા સહિત કોઈપણ કામગીરી માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલવામાં આવતી નથી.”
તેમણે પરિવારોને ચેતવણી આપતા ઉમેર્યું કે “જો કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરીને હોસ્પિટલના નામે પાર્થિવ દેહ સોંપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા, કોઈ સુવિધા આપવા કે અન્ય કોઈ કારણોસર પૈસાની માંગણી કરે, તો તે ફોન કોલ સંપૂર્ણપણે ફ્રોડ અને બોગસ સમજવો. આવા લેભાગુ તત્વોથી સાવચેત રહેવા તમામ પરિવારોને અમારી નમ્ર અપીલ છે.”
ખરી પ્રક્રિયા મુજબ સિવિલ હોસ્પિટલના અધિકૃત કર્મચારીઓ દ્વારા જ નીચે જણાવેલા અધિકૃત મોબાઇલ નંબરો પરથી જ મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવશે અને સંપૂર્ણ પ્રક્રિયામાં નિઃશુલ્ક મદદ કરવામાં આવશે.
અધિકૃત મોબાઇલ નંબરો:
- 9429915911
- 9429916096
- 9429916118
- 9429916378
- 9429916608
- 9429916622
- 9429916682
- 9429916758
- 9429916771
- 9429916875
તમામ પરિવારોને વિનંતી છે કે તેઓ માત્ર ઉપર જણાવેલા અધિકૃત નંબરો પરથી આવતા ફોન કોલને જ ધ્યાને લે અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર ન કરે. હોસ્પિટલ તંત્ર પીડિત પરિવારોને દરેક પગલે સંપૂર્ણપણે નિઃશુલ્ક સહાય કરવા માટે કટિબદ્ધ છે.