Ahmedabad સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં બે અંગદાન થયા છે. પ્રથમ કિસ્સા માં અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં થયેલા ૧૭૦માં અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ભાનુબેન વાઘેલાને તારીખ ૧૦ ઓક્ટોબર ના રોજ પોતાના ગામ સુરેન્દ્રનગર નાં કોઠારીયા ખાતે માતાજીનું નિવેજ કરી પાછા ફરતા જુહાપુરા ખાતે માર્ગ અકસ્માત થતા માથાના ભાગે ઇજા થઇ હતી.

માથાની ગંભીર ઇજાના કારણે પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને ત્યારબાદ એસ.વી. પી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા . ત્યારબાદ વધુ સારવાર અર્થે તારીખ ૧૧ ઓક્ટોબર ના રોજ તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા.૧૪.૧૦.૨૦૨૪ ના રોજ ડૉક્ટરોએ ભાનુબેન ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે ભાનુબેન ના બે દિકરાઓ ને અંગદાન વિશે સમજાવતા બંને દીકરાઓ ઉમંગ ભાઈ અને હર્ષદ ભાઈ એ હ્રદયપૂર્વક જન્મ આપનાર માતા ના અંગોનું દાન કરી બીજા કોઈ માસુમ નાં માથે થી તેની માતાની છત્રછાયા જતી રહેતા બચાવવાનો ઉમદા નિર્ણય કર્યો.

બીજા કિસ્સામાં ૧૭૧ માં અંગદાન ની વાત કરી એ તો તારીખ ૧૬.૧૦.૨૨૪ ના રોજ સિવિલ હોસ્પિટલ ના આઇસીયુ માં સારવાર દરમ્યાન એક યુવાન વ્યક્તિ બ્રેઇન ડેડ થતા તેના પરીવારજનો દ્વારા તેમના અંગો નુ ગુપ્ત દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો જેનાથી એક લીવર , બે કીડની તથા હ્રદય નુ દાન મળ્યુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ બે અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૫૫ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૩૭ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ ચાર કિડની તેમજ બે લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ હ્રદય ને યુ એન મેહતા હોસ્પિટલ માં દાખલ દર્દી માં પ્રત્યારોપણ કરવામાં આવશે. આ સાથે મળેલ બે આંખો નું દાન સિવિલ મેડિસિટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૦૮ કિડની, લીવર -૧૪૮, ૫૨ હ્રદય ,૩૦ ફેફસા , ૯ સ્વાદુપિંડ , બે નાના આંતરડા , પાંચ સ્કીન અને ૧૧૬ આંખોનું દાન મળ્યું છે