Ahmedabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેના માટે વહીવટી તંત્ર અને ભાજપ તરફથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દ્વિદિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના અનેક જિલ્લાઓમાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. પ્રથમ દિવસે, 24 ઓગસ્ટે, અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે 4:30 વાગ્યે વડાપ્રધાન કુલ ₹5,477 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM મોદીના આગમન માટે વિશેષ તૈયારીઓ

અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓના રેલવે, અર્બન ડેવલપમેન્ટ, રોડ-બિલ્ડિંગ અને રેવન્યૂ વિભાગોના લગભગ 22 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી કરશે. સાથે જ સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને લીલી ઝંડી પણ બતાવશે. નિકોલમાં જાહેરસભાને લઈ સમગ્ર વિસ્તારને લાઇટિંગથી શણગારાયો છે, જ્યારે વડાપ્રધાનના સ્વાગત માટે સ્વચ્છતા તથા ગણેશજી થીમ પર આધારિત બેનરો લગાવવામાં આવ્યા છે.

બીજા દિવસે ₹1,400 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનો લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગુજરાતમાં ₹1,400 કરોડથી વધુના મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને અર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને સીધો લાભ મળશે. ઉત્તર ગુજરાતમાં રિજનલ કનેક્ટિવિટી વધશે, ઔદ્યોગિક વિકાસ અને લોજિસ્ટિક્સ સુવિધા મજબૂત બનશે, તેમજ નવા રોજગારો સર્જાશે. આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનના વતનના વિકાસને નવા વેગ આપશે.

આ પણ વાંચો