Ahmedabad plane crash: અમદાવાદમાં એર ઇન્ડિયાના અકસ્માતના સમાચાર આવ્યા છે જેમાં એક મુસાફર બચી ગયો છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, “પોલીસને સીટ 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. તે વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક વિશે હજુ કંઈ કહી શકાય નહીં. વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.”
રિપોર્ટ મુજબ, 40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી. તેમણે કહ્યું કે, ટેકઓફ થયાના 30 સેકન્ડ પછી, જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. વિમાનના ટુકડા મારી આસપાસ વિખરાયેલા હતા. કોઈએ મને પકડીને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયો.”
બ્રિટિશ નાગરિક વિશ્વાસ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને પોતાના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે બ્રિટન પાછો ફરી રહ્યો હતો. વિશ્વાસે કહ્યું કે તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ કહ્યું કે તે અને રાણી કેમિલા અમદાવાદમાં બનેલી ભયાનક ઘટનાથી આઘાત પામ્યા છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, અધિકારીએ જણાવ્યું હતું કે AAIBના ડિરેક્ટર જનરલ અને એજન્સીના તપાસ ડિરેક્ટર સહિત અન્ય લોકો અમદાવાદ જવા રવાના થશે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે શરૂઆતના અહેવાલોથી વાકેફ છીએ અને અમે વધુ માહિતી એકત્રિત કરવાનું કામ કરી રહ્યા છીએ.”