Ahmedabad Vastral News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલ આતંક મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વસ્ત્રાલમાં આતંક મચાવનારા આરોપીઓના ગેરકાયદેસર મકાન તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 14 આરોપીમાંથી 7 આરોપીના મકાન ગેરકાયદે છે. ગેરકાયદે મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે.
અમરાઈવાડી વિસ્તારમાં આવેલા લવજી દરજીની ચાલી ખાતે ટીમ પહોંચી છે.આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવા પોલીસ અને AMCની ટીમે કામગીરીર હાથ ધરી છે. પોલીસને સાથે રાખીને ગેરકાયદે બાંધકામ તોડવા AMCની ટીમ હાજર છે. પોલીસ કમિશનર જી.એસ.મલિક, સેક્ટર 2 ઝોન 5 ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે આરોપીના પરિવારે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરીને ઉગ્ર વિરોધ કર્યો છે.
Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. ગુરુવારે રાત્રે અંગત અદાવતમાં અસમાજિક તત્વોએ લાકડી, તલવાર સાથે આખા વિસ્તારને બાનમાં લીધા બાદ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બાદમાં પોલીસે કાયદાનો દંડો ઉપાડી આરોપીઓને સકંજામાં લઈ લીધા હતા. પોલીસે એક સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ તમામને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
આ અસમાજિક તત્વોની ધરપકડ કરાયા બાદ ગઈકાલે શુક્રવારે બપોરે પોલીસની ટીમ આ આરોપીઓ લઈને બનાવ સ્થળે પહોંચી હતી અને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આ તોફાની તત્વોને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન આરોપીઓ બે હાથ જોડીને સ્થાનિકોની માફી માંગી હતી.