Ahemdabad: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ કલેકટર સુ પ્રવીણા ડી.કે., ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ
સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથ ટ્રસ્ટની બેઠકથી કરશે. પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની 123મી બેઠક યોજાશે. આ બેઠક રાજ્યપાલના નિવાસ સ્થાન રાજભવનમાં સાંજે યોજાશે. ટ્રસ્ટના અન્ય સભ્યોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને અન્યોનો સમાવેશ થાય છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ, મહાદેવ મહાપૂજા, ધ્વજારોહણ અને સાંજે દિવ્ય ભંડારનું આયોજન કરવામાં આવશે.