વડોદરા નજીક પોર રમણગામડી પાસેની કિંમતી જમીન પચાવી પાડવાના ત્રણ વર્ષ પહેલાંના ચકચારભર્યા પ્રકરણમાં land grabbing નો ગુનો દાખલ થયા બાદ ત્રણ વર્ષથી ફરાર અમદાવાદના તિરુપતિ એસ્ટેટના માલિકને તેમના ફાર્મહાઉસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

દિવસે બહાર ફરતાં અને રાત્રે ફાર્મહાઉસમાં આવીને રહેતાં હતાં : પોલીસે ત્રણ દિવસ વોચ રાખી ઝડપી પાડયા

આ અંગેની વિગત એવી છે કે વડોદરાના માંજલપુર વિસ્તારમાં શ્રી ટેનામેન્ટમાં રહેતાં મહેન્દ્ર કાંતિભાઈ પટેલે વર્ષ-૨૦૧૯માં પોર પાસે પ૮૬૮ ચો.મી. જમીન વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી હતી. થોડા દિવસો બાદ એક વ્યક્તિએ મહેન્દ્રભાઈ પટેલને ધમકી આપી હતી કે ભગુભાઈ પટેલે આ જમીન રાખી છે અને તેમની પાસે લખાણ છે તે તમને શાંતિથી જીવવા નહી દે. બાદમાં ભગુભાઈના માણસોએ જમીન પર જબરજસ્તી કબજો કરી લેતાં આ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ભગુભાઈ સહિત આઠ શખ્સો સામે land grabbingનો ગુનો દાખલ થયો હતો.

આ ગુનામાં અમદાવાદના પાલડી વિસ્તારમાં શારદાનગર ખાતે રહેતાં ભગુભાઇ માવજીભાઇ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતાં. દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ભગુભાઈને ઝડપી | પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ ધરપકડથી બચવા માટે તેઓ દિવસે બહાર ફરતા હતા અને રાત્રે ઘરના બદલે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સિંઘુભવનની પાસે ચણીયા ફાર્મહાઉસમાં આવીને ઊંઘતા હતાં તેવી માહિતીના આધારે પોલીસની એક ટીમે ત્રણ દિવસ વોચ ગોઠવીને આખરે ભગુભાઈ પટેલને ઝડપી પાડ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે જમીન લે-વેચનો વેપાર કરતાં ભગુભાઈ પટેલ અસલાલી વિસ્તારમાં | તિરુપતિ એસ્ટેટના નામે વેપાર કરે છે તેમજ વડોદરા નજીક સરાર ગામે ૧૫૦ | વીઘા જેટલી જમીન પણ છે.