Ahmedabad શહેરમાં ભલે વરસાદ બંધ થઈ ગયો હોય પરંતુ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. મચ્છરજન્ય રોગોનું પ્રમાણ માત્ર પુખ્ત વયના લોકોમાં જ નહીં પરંતુ બાળકોમાં પણ વધી રહ્યું છે. શહેરના અસારવા સ્થિત civil hospitalમાં છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યુથી પીડિત 60 બાળકો મળી આવ્યા છે. આ ઉપરાંત વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો થયો છે.

ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં કુલ 129 બાળકોનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે આ સપ્તાહમાં જ માત્ર પાંચ દિવસમાં 60 બાળકો ડેન્ગ્યુનો ભોગ બન્યા હતા. વાઈરલ ઈન્ફેક્શનની વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 506 બાળકોને ચેપ લાગ્યો હતો જ્યારે આ મહિનાના પાંચ દિવસમાં 58 બાળકોને વાયરલ ઈન્ફેક્શનના કારણે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઓગસ્ટ મહિનામાં 58 અને પાંચ દિવસમાં આઠ દર્દીઓમાં હેપેટાઈટીસની પુષ્ટિ થઈ છે.

પુખ્ત વયના લોકોમાં રોગચાળો ફાટી નીકળ્યો
civil hospitalના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, બાળકો ઉપરાંત પુખ્ત વયના લોકોમાં પણ મચ્છરજન્ય અને અન્ય રોગોનો ગ્રાફ વધ્યો છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 247 દર્દીઓ નોંધાયા હતા જ્યારે સપ્ટેમ્બરના માત્ર પાંચ દિવસમાં 61 દર્દીઓની પુષ્ટિ થઈ હતી. આ સમયગાળા દરમિયાન 962 દર્દીઓની સરખામણીએ મેલેરિયાના 101 કેસ, 20ની સરખામણીએ ફાલ્સીપેરમના એક કેસ, 31ની સરખામણીએ ચિકનગુનિયાના પાંચ અને વાયરલ તાવના 68 કેસ નોંધાયા છે. જ્યારે ઉલ્ટી અને ઝાડાનાં 28 દર્દીઓની પુષ્ટિ થઈ છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના 174 દર્દીઓ
શહેરની અન્ય મોટી સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સાત દિવસમાં ડેન્ગ્યુના 174 દર્દીઓ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના 716 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 174ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મેલેરિયાના 821 શંકાસ્પદ કેસમાંથી 16 અને ચિકનગુનિયાના 33 શંકાસ્પદ કેસમાંથી 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. વાયરલ તાવના 1703, ઉલ્ટીના 17, હેપેટાઈટીસના આઠ અને ટાઈફોઈડના ત્રણ દર્દીઓની પુષ્ટિ થઈ છે.

બંને હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના છ દર્દીઓ
છેલ્લા કેટલાક દિવસોથી સ્વાઈન ફ્લૂને લઈને રાહત હતી, પરંતુ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં 52 વર્ષીય મહિલાનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં સાત દિવસમાં પાંચ દર્દીઓને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ હોવાનું પણ કન્ફર્મ થયું છે.