Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ દુર્લભ કહી શકાય તેવી સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવામાં આવી છે.
હાલ સુરત અને ગીર સોમનાથના વતની એવા માલદેવભાઈ અને જયાબેનની ૧૫ મહિનાની પુત્રી યશ્રી વાજાને પાંચ જુલાઈ ૨૦૨૪ થી ઝાડા અને ઉલટીની ફરિયાદ હતી.
સોનોગ્રાફી કરાવતા યશ્રિના પેટમાં જમણી બાજુ પેટની દિવાલની આવરણના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું. યશ્રીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર માટે સુરતથી રીફર કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં તેણીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ ડૉક્ટર રાકેશ જોશી, એચઓડી, પીડીયાટ્રીક સર્જરી વિભાગ અને મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ તેમજ એનેસ્થેસિયા વિભાગ ના ડોક્ટર રમીલા (પ્રોફેસર) અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે સફળ ઓપરેશન કરી ૨૨૦ ગ્રામ તેમજ ૮.૫ * ૧૦.૭ * ૧૫ સેમી સાઇઝની ગાંઠને બહાર કાઢી.

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને પીડીયાટ્રીક  સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું કે
જયારે બે જોડીયા ગર્ભમાંથી એક ગર્ભ વિકસિત થઇ બાળક બને અને બીજું ગર્ભ અવિકસિત રહી વિકસિત બાળકનાં  પેટમાં ગાંઠ તરીકે રહી જાય તેવી જન્મજાત ખામીને તબીબી વિજ્ઞાનની ભાષામાં ફિટસ ઇન ફીટુ કહેવાય છે. આ એક અત્યંત દુર્લભ જન્મજાત ખામી છે જે પાંચ લાખ જીવિત બાળકોમાંથી એક કરતાં પણ ઓછા બાળકમાં જોવા મળે છે. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર ૨૦૦ જેટલા કેસો જ નોંધાયા છે.
ઓપરેશન પછી નો સમય કોઈપણ તકલીફ વગરનો અને  ઝડપથી સારું થતાં યશ્રી ને રજા આપવામાં આવી હતી.