Gandhinagar: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી લોકો હેરાન પરેશાન છે. ગુજરાતમાં જુલાઈથી અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 28 બાળકોના મોત થયા છે. બુધવારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહને આ અંગે માહિતી આપી હતી. ચાંદીપુરા વાયરસના લક્ષણો ફલૂ જેવા છે અને તીવ્ર એન્સેફાલીટીસનું કારણ બને છે. તે મચ્છર, ટીક અને સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 14 વર્ષથી ઓછી ઉંમરના 101 બાળકો એન્સેફાલીટીસને કારણે મૃત્યુ પામ્યા છે. જુલાઈમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી, 14 વર્ષથી ઓછી ઉંમરના 28 બાળકોના મોત થયા છે. ગુજરાત વિધાનસભાએ બુધવારે આ માહિતી આપી હતી.

ચાંદીપુરા વાયરસને લઈને મળતી માહિતી અનુસાર AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાના પ્રશ્ન’ના જવાબમાં, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગૃહને જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં વાયરલ એન્સેફાલીટીસના 164 કેસ નોંધાયા છે. જેમાં 101 બાળકોના ચેપને કારણે મોત થયા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં મળી આવેલા આ 164 કેસમાંથી 61 ચાંદીપુરા વાયરસના કારણે છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે?
ચાંદીપુરા વાયરસના લક્ષણો ફલૂ જેવા હોય છે અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા)નું કારણ બને છે. તે મચ્છર, ટીક અને સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે. પટેલે જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં 14 વર્ષથી ઓછી ઉંમરના 101 બાળકો તીવ્ર એન્સેફાલીટીસને કારણે મૃત્યુ પામ્યા છે. તેમાંથી 28 લોકોના મોત ચાંદીપુરા વાયરસના ચેપને કારણે થયા છે. જ્યારે 73 અન્ય લોકોના મોત વાઇરલ ઇન્ફેક્શનને કારણે થતા એન્સેફાલીટીસને કારણે થયા છે.

63 બાળકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી
મંત્રીએ કહ્યું કે 63 બાળકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે ચાર હજુ પણ તબીબી સંભાળ હેઠળ છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને છેલ્લા એક અઠવાડિયામાં કોઈ નવા કેસ નોંધાયા નથી. છેલ્લા 12 દિવસમાં કોઈ મૃત્યુ થયું નથી. મંત્રીના જણાવ્યા અનુસાર, સરકારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વેક્ટર નિયંત્રણ અને નિવારણ માટે અભિયાન શરૂ કર્યું છે.

આ ઝુંબેશ હેઠળ આરોગ્ય ટીમોએ એવા વિસ્તારોમાં 53,000 થી વધુ ઘરોનો સર્વે કર્યો જ્યાં વાયરલ એન્સેફાલીટીસ અને ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે રોગને નિયંત્રણમાં લેવા માટે ગામડાઓમાં 7 લાખથી વધુ માટીના ઘરોમાં જંતુનાશક મેલાથિઓન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે લગભગ 1.58 લાખ ઘરોમાં પ્રવાહી જંતુનાશકનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે.

મેલાથિઓન પાવડર અને જંતુનાશક છંટકાવ
અસરગ્રસ્ત જિલ્લાઓમાં લગભગ 40,000 શાળાઓ અને 36,000 થી વધુ આંગણવાડીઓમાં મેલેથિઓન પાવડર અને પ્રવાહી જંતુનાશકનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ચાંદીપુરા સિવાયના અન્ય વાયરસને ઓળખવા માટે સંશોધન કરી રહ્યું છે. જે એન્સેફાલીટીસનું કારણ બને છે અને બાળકોનું મૃત્યુ થાય છે.