રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે Bangladeshમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ પર પ્રતિક્રિયા આપી છે. ભાગવતે કહ્યું કે ત્યાં રહેતા હિંદુઓ બિન ઉશ્કેરણીજનક હિંસાનો સામનો કરી રહ્યા છે અને તે આપણા દેશની જવાબદારી છે કે તેઓને કોઈપણ પ્રકારના અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે.

આવનારી પેઢીઓએ રક્ષણ કરવું જોઈએ.
ભાગવતે સ્વતંત્રતા દિવસના અવસર પર નાગપુરમાં RSS મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે આઝાદીની રક્ષા કરવી એ આવનારી પેઢીની ફરજ છે, કારણ કે વિશ્વમાં હંમેશા એવા લોકો હોય છે જેઓ અન્ય દેશો પર પ્રભુત્વ જમાવવા માંગે છે અને આપણે તેમનાથી સતર્ક અને સાવચેત રહેવું પડશે અને પોતાની સુરક્ષા કરવી પડશે.

તેમણે કહ્યું કે પરિસ્થિતિ હંમેશા એક જેવી નથી રહેતી. ક્યારેક પરિસ્થિતિ સારી હોય છે, તો ક્યારેક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી. આ ઉતાર-ચઢાવ ચાલુ રહેશે.

ભારતે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરી
આરએસએસ ચીફે વધુમાં કહ્યું કે, ‘બીજાને મદદ કરવી એ ભારતની પરંપરા રહી છે. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું છે કે ભારતે ક્યારેય કોઈના પર હુમલો કર્યો નથી, પરંતુ મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરી છે, પછી ભલે તેઓ અમારી સાથે કેવી રીતે વર્તે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં આપણે એ પણ જોવું પડશે કે આપણો દેશ સુરક્ષિત રહે અને અન્ય દેશોને પણ મદદ કરે.